દિલ્હી એરપોર્ટ પર થયો હતો સાઇબર એટેક, GPS સાથે છેડછાડનો સંસદમાં સરકારે કર્યો સ્વીકાર

રાજધાની દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉડાન ભરતી કેટલીક ફ્લાઇટ્સને તાજેતરમાં GPS સ્પૂફિંગ (ખોટા સિગ્નલો)નો સામનો કરવો પડ્યો હોવાની કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયે સંસદમાં કબૂલાત કરી છે. આ ગંભીર ઘટનાની જાણકારી કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી કિન્જારાપુ રામમોહન નાયડુએ રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં આપી હતી.
આ અંગે સવાલનો જવાબ આપતા કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી કિન્જારાપુ રામમોહન નાયડુએ સંસદમાં જણાવ્યું કે, આ ઘટનાઓ ત્યારે બની હતી, જ્યારે વિમાનો ઈન્દિરા ગાંધી એરપોર્ટના રન-વે 10 પર ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (GPS- જીપીએસ) આધારિત લેન્ડિંગ પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યા હતા. જીપીએ સ્પૂફિંગના કારણે વિમાનોના નેવિગેશન સિસ્ટમને ખોટા સિગ્નલો મળ્યા હતા. પરિણામે પાયલટોએ તાત્કાલિક આકસ્મિક કાર્યવાહી શરૂ કરવી પડી હતી. જો કે, ગ્રાઉન્ડ-આધારિત પરંપરાગત નેવિગેશન સિસ્ટમના કારણે અન્ય રન-વે પરની કામગીરી પૂરતી અસરકારક રહી ન હતી.
માત્ર દિલ્હી જ નહીં, પરંતુ દેશના અન્ય મુખ્ય એરપોર્ટ્સ પર પણ GNSS (ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ)માં આ પ્રકારના હસ્તક્ષેપના અહેવાલો મળ્યા છે. સરકારે કબૂલ્યું છે કે, કે કોલકાતા, અમૃતસર, મુંબઈ, હૈદરાબાદ, બેંગલુરુ અને ચેન્નાઈ એરપોર્ટ પર પણ GPS જામિંગ/સ્પૂફિંગની ઘટનાઓ નોંધાઈ છે. આ ઘટના પછી ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા આ જોખમને ઘટાડવા માટે અનેક પગલાં લેવાયા છે. તેમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા હસ્તક્ષેપના સ્ત્રોતને ઓળખવા માટે વાયરલેસ મોનિટરિંગ ઓર્ગેનાઈઝેશન (WMO) ની મદદ લેવામાં આવી છે.
આ ઉપરાંત ડીજીસીએ દ્વારા જીપીએસ સ્પૂફિંગની ઘટનાઓનું રિયલ ટાઇમ રિપોર્ટિંગ કરવા માટે નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિડ્યુર (SOP) પણ બહાર પાડવામાં આવી છે. આ ઉપરાંત એરક્રાફ્ટની સુરક્ષા માટે ભારતીય હવાઈ ક્ષેત્રમાં પરંપરાગત ગ્રાઉન્ડ આધારિત નેવિગેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું મીનિમમ ઓપરેટિંગ નેટવર્ક (MON) જાળવી રખાયું છે. આ સિવાય આંતરરાષ્ટ્રીય સ્તરે વધી રહેલા સાયબર સુરક્ષાના જોખમો સામે લડવા સિસ્ટમ અને પ્રોટોકોલ પણ સતત અપગ્રેડ કરાઈ રહ્યા છે.
આ પણ વાંચો, વોટ્સએપ અને ટેલિગ્રામ યુઝર્સ સાવધાન! હવે દર 6 કલાકે કરવું પડશે લોગ આઉટ, સરકારના કડક નિયમો જાહેર