આવતીકાલે ચંદ્રગ્રહણ: ભારતમાં કયા સમયે દેખાશે? જાણો પ્રભાવથી લઇને સૂતક કાળનો ટાઇમિંગ

આવતીકાલે એટલે કે 7 સપ્ટેમ્બરને રવિવારે ભારતમાં વર્ષનું બીજું અને છેલ્લું ચંદ્રગ્રહણ લાગવા જઈ રહ્યું છે. આ ચંદ્ર ગ્રહણ દેશના દરેક રાજ્યમાંથી દેખાશે. ચંદ્ર ગ્રહણ એક ખગોળીય ઘટના છે, પરંતુ જ્યોતિષ શાસ્ત્રમાં તેને ખુબ જ મહત્વ આપવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે આ વખતે 100 વર્ષ પછી ચંદ્ર ગ્રહણ સાથે પિતૃ પક્ષનો સંયોગ બની રહ્યો છે.
આ વખતે જે ચંદ્ર ગ્રહણ લાગશે તે પૂર્ણ ચંદ્ર ગ્રહણ હશે, જે શનિની રાશિ કુંભ અને ગુરુના નક્ષત્ર પૂર્વાભાદ્રપદમાં લાગી રહ્યું છે. વર્ષ 2025ના આ છેલ્લાં ચંદ્ર ગ્રહણને લઈ લોકોના મનમાં અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કે શું આ ગ્રહણ ભારતમાં દેખાશે, તેનો સૂતક કાળ ક્યારે લાગશે અને ગ્રહણનો સમય કેટલો રહેશે? તો ચાલો આ બધા જ સવાલોની માહિતી જાણીએ.
જ્યોતિષ મુજબ, 7 સપ્ટેમ્બરે લાગતું આ ચંદ્ર ગ્રહણ ખુબ જ પ્રભાવી અને ખતરનાક માનવામાં આવે છે કારણ કે ચંદ્ર ગ્રહણની અસર ત્રણ મહિના પહેલાંથી અને ત્રણ મહિના પછી પણ દેખાય છે.
7 સપ્ટેમ્બરની રાત્રે લાગતું આ ચંદ્ર ગ્રહણ સમગ્ર ભારતમાં નજરે પડશે. રાત્રે 8:59 વાગ્યે ચંદ્ર પર હળવો છાયો પડવા લાગશે, જેને પેનમ્બ્રા સ્ટેજ કહેવાય છે, પરંતુ સૂતક કાળ પેનમ્બ્રા સ્ટેજથી ગણાતો નથી. સૂતક કાળ ગાઢ છાંયો પડતા 9 કલાક પહેલાંથી લાગવાનું માનવામાં આવે છે.
ચંદ્ર ગ્રહણનો આરંભ 7 સપ્ટેમ્બરની રાત્રે 9:58 વાગ્યે થશે અને તેનું સમાપન 8 સપ્ટેમ્બરની મધરાત્રે 1:26 વાગ્યે થશે. ગ્રહણનો પીક ટાઈમ રાત્રે 11:42 વાગ્યે આવશે. એટલે કે ભારતમાં ગ્રહણની કુલ અવધિ 3 કલાક 28 મિનિટ રહેશે.
પૂર્ણ ચંદ્ર ગ્રહણ 7 સપ્ટેમ્બરે રાત્રે 9:58 વાગ્યે લાગશે. તેથી તેનો સૂતક કાળ બપોરે 12:57 વાગ્યાથી શરૂ થઈ જશે.
આ ચંદ્ર ગ્રહણ ભારત ઉપરાંત યુરોપ, એશિયા, ઑસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, અમેરિકા, ફીજી અને એન્ટાર્કટિકાના કેટલાક ભાગોમાં પણ નજરે પડશે.
ગ્રહણ દરમિયાન ગ્રહોની સ્થિતિ
આ ચંદ્ર ગ્રહણ રાહુના શતભિષા નક્ષત્રથી શરૂ થશે અને ગુરુના નક્ષત્ર પૂર્વાભાદ્રપદમાં પૂર્ણ થશે. આ દિવસે સૂર્ય, શનિ અને ગુરુ જેવા મુખ્ય ગ્રહોનો વિશેષ સંયોગ બનશે.
ચંદ્ર ગ્રહણમાં હંમેશા રાહુ અને ચંદ્રમા સાથે હોય છે, પરંતુ આ વખતે ગ્રહણ રવિવારે લાગી રહ્યું છે એટલે સૂર્યની પણ મહત્વની ભૂમિકા રહેશે. ઉપરાંત આ વર્ષ મંગળનું વર્ષ હોવાથી મંગળનો પણ પ્રભાવ રહેશે. ગ્રહણ 7મી તારીખે લાગી રહ્યું છે અને આ મૂળાંક 7 કેતુનું પ્રતિનિધિત્વ કરે છે.
જ્યોતિષીઓ મુજબ, 7 સપ્ટેમ્બરે લાગતું આ ચંદ્ર ગ્રહણ ભારતની રાજનીતિ અને પ્રશાસન પર અસરકારક અસર કરી શકે છે. પૂર્ણિમાના દિવસે લાગતું ગ્રહણ જ્યોતિષ શાસ્ત્રમાં વિશેષ ગણાય છે. આ સમયે કુદરતી આપત્તિઓનું જોખમ વધી શકે છે, ખાસ કરીને પૂર, ભારે વરસાદ અને પહાડી વિસ્તારોમાં નુકસાન થવાની શક્યતા રહે છે. તેનો પ્રભાવ માણસો તથા પ્રાણીઓ બંને પર જોવા મળશે.
સૂતક કાળ દરમિયાન શું ન કરવું?
શાસ્ત્રો અનુસાર ચંદ્ર ગ્રહણના 9 કલાક પહેલાં સૂતક કાળ શરૂ થઈ જાય છે. આ દરમિયાન ભોજન કરવાની મનાઈ છે. કોઈ પણ પ્રકારનું નકારાત્મક કાર્ય કરવું અશુભ ગણાય છે. આ સમયે આધ્યાત્મિક ચિંતન, ધ્યાન, રામચરિતમાનસનો પાઠ કે શિવમંત્રોના જાપ કરવાથી લાભ મળે છે. બાકી રહેલા ભોજનમાં ગ્રહણ દરમિયાન તુલસી પાન નાખવું જોઈએ.
ચંદ્ર ગ્રહણ દરમિયાન શું કરવું?
- ચંદ્ર ગ્રહણ દરમિયાન ભગવાનના મંત્રોનો જાપ કરવો.
- ગ્રહણ બાદ શુદ્ધ જળથી સ્નાન કરવું, ગરીબોને દાન આપવું, મંદિરોમાં પૂજારીઓને વસ્ત્ર અને દક્ષિણાનું દાન કરવું.
- ગ્રહણ સમયે ગાયને ઘાસ, પક્ષીઓને અન્ન અને જરૂરિયાતમંદોને વસ્ત્ર દાન કરવાથી પુણ્ય ઘણું વધારે મળે છે.
આ પણ વાંચો. અમદાવાદમાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, કાળા ડિબાંગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદ