સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે પ્રચાર પડઘમ શાંત થશે,16મીએ મતદાન

જૂનાગઢ મહાનગરપાલિકા, 68 નગરપાલિકા સહિત આગામી 16 ફેબ્રુઆરીના યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે સાંજે પાંચ વાગે પ્રચાર પડઘમ શાંત પડી જશે. ઉમેદવારો હવે સાંજે 5 વાગ્યા પછી ડોર-ટુ-ડોર પ્રચાર કરશે.


સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે 7036 ઉમેદવારીપત્ર રજૂ થયા હતા. આ પૈકી 1261 અમાન્ય તેમજ 5775 ઉમેદવારીપત્ર માન્ય રહ્યા હતા. 478 ઉમેદવારોએ ઉમેદવારીપત્ર પરત ખેંચ્યા હતા. કૂલ 213 બેઠકો બિનહરીફ થઇ હતી. જેના પગલે હરિફાઇ હેઠળની બેઠકો માટે કૂલ 5084 ઉમેદવારો હરિફાઇમાં છે. જૂનાગઢ મહાનગરપાલિકાના 15 વોર્ડની કૂલ 60 બેઠક પૈકી કૂલ 8 બેઠક સંપૂર્ણ બિનહરીફ ઇ છે. અન્ય પર બેઠકો માટે કૂલ 157 ઉમેદવારો હવે મેદાનમાં છે.

અમદાવાદ મહાનગરપાલિકા સહિત 3 બેઠક પર પેટા ચૂંટણી

અમદાવાદ મહાનગરપાલિકાના વોર્ડ નંબર-7, ભાવનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર-3, સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર-18ની પેટા ચૂંટણી હેઠળની 3 બેઠકો માટે ચૂંટણી યોજાશે અને તેના માટે 17 ઉમેદવારો મેદાનમાં છે. સામાન્ય ચૂંટણી હેઠળની 66 નગરપાલિકાના 461 વોર્ડ પૈકી 24 વોર્ડ સંપૂર્ણ બિનહરીફ થઇ છે. કૂલ 1844 બેઠક પૈકી 167 બેઠક બિનહરીફ થઇ છે. હવે 1677 બેઠકો પર ચૂંટણી યોજાશે. આ બેઠકો માટે 4374 ઉમેગવારો હરિફાઇમાં છે. 16 ફેબ્રુઆરીના સવારે 7થી સાંજે 6 દરમિયાન મતદાન યોજાશે.

સુરેન્દ્રનગરમાં થાન નગરપાલિકાની ચૂંટણીના પ્રચારના છેલ્લા દિવસે પાર્ટીઓના દિગ્ગજ નેતાઓ પ્રચારમાં મેદાનમાં ઉતરશે. કોંગ્રેસના સમર્થનમાં સાંસદ ગેનીબેન ઠાકોર પ્રચાર કરી સભાનું સંબોધન કરશે.આપ નેતા ગોપાલ ઇટાલિયા પણ આજે પ્રચારમાં જોડાશે.ભાજપના ધારાસભ્યોથી લઈ કાર્યકર્તાઓ છેલ્લી ઘડીના પ્રચારમાં એડીચોંટીનું લગાવશે જોર. થાન નગરપાલિકાની ચૂંટણીમાં 107 ઉમેદવારો મેદાનમાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *