
પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદના શુક્રવાર(જુમ્મા)ની નમાઝ દરમિયાન શિયા મસ્જિદ (ઇમામબાડા)માં આત્મઘાતી હુમલો થયો. પાકિસ્તાની અખબાર ડોનના અહેવાલ મુજબ, આ હુમલામાં 15 લોકોનાં મોત થયા છે અને 80 લોકોની હાલત ગંભીર છે.
પોલીસ અને બચાવ સેવાઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ અભિયાન શરૂ કરી દીધું છે. હોસ્પિટલોને એલર્ટ પર રાખવામાં આવી છે. ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવામાં આવી રહ્યા છે.
ધમાકા બાદ ઇસ્લામાબાદના પોલીસ પ્રમુખે સમગ્ર શહેરમાં ઇમર્જન્સી જાહેર કરી દીધી. અધિકારીઓને આશંકા છે કે મૃત્યુઆંક વધી શકે છે.
પાકિસ્તાન સરકારના મંત્રી ડો. તારિક ફઝલ ચૌધરીએ સોશિયલ મીડિયા પર લખ્યું કે ઇસ્લામાબાદમાં થયેલા ધમાકાની હું સખત નિંદા કરું છું. આ હુમલામાં માર્યા ગયેલા લોકો માટે દુઃખી છું.
આવી આતંકી ઘટનાઓ દેશ અને લોકોનો જુસ્સો તોડી શકતી નથી. જરૂર છે કે આપણે સૌ સાથે મળીને શાંતિ, સહનશીલતા અને સ્થિરતા માટે એકજૂટ થઈએ અને કાયદો વ્યવસ્થા સંભાળતી એજન્સીઓ સાથે મજબૂતીથી ઊભા રહીએ.
