બેટદ્વારકાના દરિયામાં છુપાયેલું મોટું રહસ્ય બહાર આવ્યું : ઈતહાસનો નવો દરવાજો ખૂલશે

ASI દ્વારા બેટ દ્વારકાના દરિયાકાંઠે ઐતિહાસિક ઉત્ખનન કરાયું. ખોદકામ દરમિયાન પ્રાચીન વિદેશી વેપારના પુરાવા મળી આવ્યા છે. આ સાથે જ બેટદ્વારકામાં સમુદ્રના પેટાળમાં દટાયેલું ભારતનું પ્રાચીન વર્લ્ડ ટ્રેડ સેન્ટર મળી આવ્યું છે, જેનાથી રોમન સામ્રાજ્ય સાથેના વેપારની કડીઓ ખૂલશે. ભારતીય પુરાતત્વ મરીન ટીમે શોધેલા આ અવશેષો 2500 વર્ષ જૂના છે.

ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) ની ‘અન્ડરવોટર આર્કિયોલોજી વિંગ’ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા નજીક આવેલા ઐતિહાસિક બેટ દ્વારકા ટાપુ પર પુરાતત્વીય ઉત્ખનનનો પ્રથમ તબક્કો હાથ ધરવામાં આવ્યો છે. ડિસેમ્બર 2025 થી શરૂ થયેલ આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ આ પ્રદેશના પ્રાચીન સાંસ્કૃતિક ઈતિહાસ, માનવ વસાહતની પદ્ધતિ અને દરિયાઈ ગતિવિધિઓ પર પ્રકાશ પાડવાનો છે. ઉલ્લેખનીય છે કે, બેટ દ્વારકાના ઇતિહાસમાં પ્રથમ વખત આટલા વ્યાપક અને પદ્ધતિસરના સ્તરે ઉત્ખનન કાર્ય કરવામાં આવી રહ્યું છે.

આ સંશોધન વિશે ASI ના અધિક મહાનિર્દેશક આલોક ત્રિપાઠીએ જણાવ્યું કે, પુરાતત્વવિદોના મતે, બેટ દ્વારકા પ્રાચીન કાળથી દરિયાઈ વેપારનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે. સાહિત્યિક ગ્રંથોમાં તેને ‘અંતરદ્વીપ’ તરીકે ઓળખવામાં આવ્યો છે, જ્યારે વિદેશી ગ્રંથ ‘પેરિપ્લસ ઓફ ધ એરિયન સી’ માં ઉલ્લેખિત ‘બારાકા’ સાથે પણ આ સ્થળની કડીઓ જોડાયેલી છે.

વ્યૂહાત્મક રીતે મહત્વના સ્થાને હોવાને કારણે, આ ટાપુ પ્રારંભિક ઐતિહાસિક કાળમાં રોમન સામ્રાજ્ય સહિતના અન્ય દેશો સાથેના દરિયાઈ વેપારમાં મહત્વની ભૂમિકા ભજવતું હતું. અગાઉના ટૂંકા સંશોધનોમાં અહીંથી પથ્થરના લંગર અને માટીના વાસણો મળી આવ્યા હતા, જે આદ્ય-ઐતિહાસિક કાળની વસાહતો હોવાની સાબિતી આપે છે.

હાલમાં દરિયાકિનારા પાસે ચાલી રહેલા ઉત્ખનન દરમિયાન પથ્થરના બાંધકામોની સાથે વિદેશી માટીના વાસણો, કાચના મણકા, શંખની બંગડીઓ, સિક્કા અને લોખંડની કલાકૃતિઓ મળી આવી છે. જોકે, ગીચ વનસ્પતિ અને વન્યજીવોની હાજરીને કારણે આ કામગીરી અત્યંત પડકારજનક બની રહી છે. સંશોધકોએ ટાપુના દક્ષિણ-પૂર્વ કિનારે BSD-1 થી BSD-4 સુધીના ચાર મહત્વના વિસ્તારોની ઓળખ કરી છે, જ્યાં મળી આવેલા અવશેષો અહીં લાંબા સમયથી સમૃદ્ધ માનવ સંસ્કૃતિ ધબકતી હોવાનું પ્રમાણ આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *