દ્વારકાધીશના મંદિરે જતા ભક્તો માટે મોટા સમાચાર, દર્શનના સમયમાં કરવામાં આવ્યો ફેરફાર

આગામી સપ્ટેમ્બરમાં શ્રાવણ વદ-8 (આઠમ)ના પવિત્ર દિવસે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. આ જન્મોત્સવ પ્રસંગે યાત્રાધામ દ્વારકા ખાતે શ્રી દ્વારકાધીશ મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મંદિર પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલો નવો સમયપત્રક નીચે મુજબ છે.
જન્માષ્ટમીના દિવસે દર્શનનો સમય:
- સવારે 6:00 થી 8:00: મંગળા આરતી અને દર્શન
- સવારે 8:00 થી 9:00: શ્રીજીના ખુલ્લા પડદે સ્નાનના દર્શન
- સવારે 9:00 થી 9:45: ભીતર પૂજા (દર્શન બંધ)
- સવારે 9:45 થી 10:00: દર્શન ચાલુ
- સવારે 10:00 થી 10:15: દર્શન બંધ
- સવારે 10:15 થી 10:45: દર્શન ચાલુ
- સવારે 10:45 થી 11:00: સ્નાન ભોગ અને શૃંગાર ભોગ (દર્શન બંધ)
- સવારે 11:00: શૃંગાર આરતી અને દર્શન
- સવારે 11:20 થી 11:30: ગ્વાલ ભોગ (દર્શન બંધ)
- સવારે 11:30 થી 12:00: દર્શન ચાલુ
- બપોરે 12:00 થી 12:30: રાજભોગ (દર્શન બંધ)
- બપોરે 12:30 થી 1:00: દર્શન ચાલુ
- બપોરે 1:00 થી સાંજે 5:00: મંદિર બંધ રહેશે
સાંજ અને રાત્રિના દર્શનનો સમય:
- સાંજે 5:00: ઉત્થાપન દર્શન
- સાંજે 5:45 થી 6:00: ભોગ દર્શન બંધ
- સાંજે 6:00 થી 7:30: દર્શન ચાલુ
- સાંજે 7:30 થી 7:45: સંધ્યા ભોગ (દર્શન બંધ)
- સાંજે 7:45 થી 8:00: સંધ્યા આરતી
- રાત્રે 8:00 થી 8:10: શયન ભોગ (દર્શન બંધ)
- રાત્રે 8:10 થી 8:30: દર્શન ચાલુ
- રાત્રે 8:30: શયન આરતી
- રાત્રે 8:30 થી 9:00: દર્શન ચાલુ
- રાત્રે 9:00 વાગ્યે: મંદિર બંધ થશે
જન્મોત્સવ આરતી અને મહાદર્શન:
- મધરાત્રિ 12:00 વાગ્યે: શ્રીકૃષ્ણ જન્મોત્સવ આરતી શરૂ થશે.
- મધરાત્રિ 12:00 થી 2:30 વાગ્યા સુધી: જન્મોત્સવ દર્શન ચાલુ રહેશે.
- રાત્રે 2:30 વાગ્યે: જન્મોત્સવ દર્શન બાદ મંદિર બંધ થશે.
યાત્રાધામ દ્વારકા જગત મંદિરની આવકમાં વધારો
સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના શરણે આવતા ભક્તોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. આસ્થાના ઘોડાપૂરની સીધી અસર મંદિરની આવક પર પણ જોવા મળી છે. દ્વારકાધીશ જગત મંદિરની આવકમાં વર્ષ 2025-26 દરમિયાન મોટો ઉછાળો નોંધાયો છે. વર્ષ 2025-26માં દાન પેટે 22 કરોડથી વધુની આવક થઈ હતી. છેલ્લા 5 નાણાકીય વર્ષોથી તીર્થનગરી દ્વારકામાં દાન પેટેની આવક સતત વધી રહી છે. દ્વારકાધીશ મંદિરના વહીવટદાર દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આંકડા મુજબ, ભક્તો દ્વારા ચડાવાતા દાન અને ભેટમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. દિવસે-દિવસે સુધરતી સુવિધાઓ અને વધતા જતા પ્રવાસનને કારણે દેશ-વિદેશથી લાખો શ્રદ્ધાળુઓ કાળિયા ઠાકોરના દર્શનાર્થે ઉમટી રહ્યા છે, જેને પગલે મંદિરના અર્થતંત્રમાં પણ આ મોટો વધારો જોવા મળ્યો છે.
દ્વારકા સ્થિત ભગવાન દ્વારકાધીશજી જગતમંદિરની વાર્ષિક આવકમાં છેલ્લા પાંચ વર્ષથી નોંધપાત્ર વધારો જોવા મળે છે. રોજ હજારો ભાવિકો દર્શનાર્થે ઉમટે છે. છેલ્લા ત્રણ વર્ષથી આવકમાં ખાસ્સો વધારો જોવા મળે છે. જગત મંદિર ટ્રસ્ટ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ મંદિરની કુલ આવક વર્ષ 2021-2022 દરમિયાન 13,76,29,414 રૂપિયા નોંધાઈ હતી, જે વર્ષ 2022-2023માં વધીને 19,79,17,316 થઈ હતી. ત્યારબાદ વર્ષ 2023-24માં આવકમાં વધુ વધારો થઈ 23,78,24,800 રૂપિયા નોંધાઈ હતી. વર્ષ 2024-25 દરમિયાન આવક આંશિક ઘટાડા સાથે 21,92,18,038 રૂપિયા રહી હતી.
જગતમંદિરની આવકમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન કુલ લગભગ 8,27,53,876 જેટલો વધારો જોવા મળે છે. જેમાં વર્ષ 2023-24 દરમિયાન અત્યાર સુધીની વિક્રમી 23.78 કરોડથી વધુ આવક નોંધાઈ હતી. છેલ્લા પાંચ વર્ષના આંકડા જોઈએ તો દર વર્ષે સરેરાશ 1.65 કરોડના વધારા સાથે વર્ષ 2021-22માં 13.76 કરોડ જેટલી આવકનો આંક વર્ષ 2025-26 માં 22.04 કરોડ થઈ ગયો છે. આ આવકમાંથી ૨ ટકા રકમ ચેરિટી તરીકે ફાળવવામાં આવે છે,જ્યારે 15 ટકા ટ્રસ્ટ ઈન્કમ તરીકે કપાઈ છે. જયારે પુજારીઓનો હિસ્સો 83 ટકા જેટલો રહે છે.