ગુજરાતના બે કદાવર નેતાઓ સામે ધરપકડ વોરંટ જાહેર, પૂર્વ મુખ્યમંત્રી પર લગાવ્યા હતા કૌભાંડના આરોપ

Oplus_131072

ગુજરાત ભાજપના ધારાસભ્ય સી.જે ચાવડા અને કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમાર સામે રાજકોટ કોર્ટ દ્વારા ધરપકડ વોરંટ રજૂ કર્યા હોવાના સમાચાર સામે આવ્યાં છે. સી.જે ચાવડા, શૈલેષ પરમાર અને સુખરામ રાઠવા દ્વારા રાજકોટના કુવાડવા રોડ પર આવેલી સહારા ઈન્ડિયાની જમીનમાં ઝોન ફેરફાર કરાવી 500 કરોડનું કૌભાંડ કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જે મુદ્દે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપ અગ્રણી નેતા નીતિન ભારદ્વાજ સામે આ આક્ષેપ કરાયા હતાં, જેની સામે ભારદ્વાજે રાજકોર્ટ કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ કરી હતી.

આ મુદ્દે શૈલેષ પરમાર દ્વારા પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં શૈલેષ પરમારે જણાવ્યું કે, બે મુદ્દતમાં અમે લોકો હાજર રહ્યાં નહતાં. તેથી, કોર્ટે ધરપકડ વોરંટ કાઢ્યું હોય શકે. જે પણ લીગલ કાર્યવાહી કોર્ટ તરફથી કરવામાં આવશે તેની સામે અમારા વકીલ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. ગાંધીનગરમાં જે પ્રકારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોર્ટમાં જે દાવો કર્યો હતો તે પાછો ખેંચી લીધો હતો, તે જ પ્રકારે રાજકોર્ટ કોર્ટમાં પણ એ જ પેટર્ન દ્વારા દાવો પરત ખેંચી લેવાના છે.

આ ધરપકડ વોરંટ નથી…
સમગ્ર મુદ્દે ધારાસભ્ય સી. જે ચાવડાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. જેમાં બે કેસ કોર્ટમાં ચાલતા હતાં અને અગાઉ આ મામલે સમાધાન થઈ ગયું છે. આ ધરપકડ વોરંટ નથી ફક્ત 21 માર્ચના દિવસે કોર્ટમાં હાજર રહેવાની નોટિસ છે. અમારૂ સમાધાન થઈ ચુક્યું છે અને માત્ર કોર્ટમાં હાજર રહેવાની વાત છે.

કોંગ્રેસ નેતા શૈલેષ પરમાર, સુખરામ રાઠવા અને સી.જે ચાવડા દ્વારા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજકોટ ભાજપના અગ્રણી નિતિન ભારદ્વાજ સામે કુવાડવા રોડ પર આવેલી સહારા ઈન્ડિયા કંપનીની જમીનમાં ઝોન ફેર કરી 500 કરોડ રૂપિયાના કૌભાંડનો આરોપ લગાવાયો હતો. જોકે, વિજય રૂપાણી અને નીતિન ભારદ્વાજ દ્વારા આ આરોપોને નકારી દેવામાં આવ્યા હતાં. આ સિવાય આ આરોપ તદ્દન ખોટા અને વાહિયાત જણાવી વિજય રૂપાણીએ ગાંધીનગર કોર્ટ અને નીતિન ભારદ્વાજે રાજકોટ કોર્ટમાં બદનક્ષીનો દાવો કર્યો હતો. જોકે, ગાંધીનગરની કોર્ટમાં આ મામલે વિજય રૂપાણી સાથે સમાધાન થઈ ગયું હતું અને રૂપાણીએ પોતાનો દાવો પાછો ખેંચી લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *