Ahmedabad: ઉનાળામાં રોગચાળો વકર્યો, ચંડોળામાં કોલેરાના કેસ નોંધાતા દોડધામ

ઉનાળાની સીઝન શરૂ થતાની સાથે જ રોગચાળાના પ્રમાણમાં વધારો થયો છે. શહેરના પૂર્વ વિસ્તારમાં પ્રદૂષિત પાણીના કારણે રોગચાળાના કેસો વધ્યા છે. પૂર્વ વિસ્તારના દાણીલીમડામાં આવેલા ચંડોળા તળાવ અને આસપાસના વિસ્તારમાં કોલેરાના 9 જેટલા કેસો નોંધાતા આરોગ્ય વિભાગમાં ભાગદોડ મચી છે. ઝાડા-ઉલ્ટી અને ટાઈફોઈડના કેસોમાં વધારો થયો છે. દૂષિત પાણી અને ગરીબ વિસ્તારમાં ખરાબ સ્થિતિ હોવાને લઈને કોલેરા અને ઝાડા-ઉલટીના કેસો વધારે નોંધાયા છે. પૂર્વ વિસ્તારના બહેરામપુરા, લાંભા, વટવા, દાણીલીમડા, વસ્ત્રાલ વિસ્તારમાં સૌથી વધારે ઝાડા -ઉલટી સહિતના પાણીજન્ય કેસો નોંધાયા છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ઓફિસર ડો. ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, પાણીજન્ય રોગચાળાના આંકડામાં વધારો થયો છે. માર્ચ મહિનામાં ઝાડા-ઉલ્ટીના 724 કેસ, ટાઈફોઈડના 402, કમળાના 164 અને કોલેરાના 12 કેસ નોંધાયા છે. શહેરના દાણીલીમડા વિસ્તારમાં આવેલા ઝંડોળા તળાવમાં અનહાઇજેનિક કન્ડિશન અને પ્રદૂષિત પાણીના કારણે કોલેરાના 9 કેસો ત્યાં નોંધાયા છે. ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં આવેલા લાંભા, વટવા, બહેરામપુરા, વસ્ત્રાલ અને દાણીલીમડા વિસ્તારમાં ઝાડા-ઉલટી, કોલેરા, ટાઈફોડ સહિતના પાણીજન્ય રોગચાળો વધારે જોવા મળ્યો છે. જ્યાં ક્લોરિન નીલ આવતું હોવાને લઈને તપાસ કરવામાં આવશે.
ક્લોરિનની ગોળીઓનું વિતરણ પણ શરૂ કરવામાં આવ્યું છે. ચાલુ મહિનામાં 53,561 ક્લોરિન ટેસ્ટ કરાયા છે. જેમાં 45 ક્લોરિન સેમ્પલ નીલ આવ્યા છે. 6928 પાણીના સેમ્પલની સંખ્યા લેવાઇ છે. જેમાંથી 29 નમૂના અનફીટ જાહેર થયા છે ત્યાં પણ ખાનગી બોર આવેલા છે, તે તમામ લોકોને શુદ્ધ હું પાણી પૂરું પાડવા માટે જણાવવામાં આવ્યું છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, મચ્છરજન્ય રોગમાં માર્ચ મહિનામાં ડેન્ગ્યુના 29, મેલેરિયાના 13, ઝેરી મેલેરિયાના 3 અને ચીકગુનિયાનો 4 કેસ નોંધાયા છે. 90,495 લોહીના નમૂના લેવાયા છે. 3522 સીરમ સેમ્પલ લઈને તપાસ માટે મોકલી અપાયા છે.