Ahmedabad: ઝોન-6ના પોલીસ સ્ટેશનોમાં ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ, 8.34 લાખનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરાયો

સામાન્ય રીતે પોતાના ગુમ થયેલ અને ચોરીમાં ગયેલ મુદ્દામાલ પરત મેળવવાની પ્રક્રિયાથી અજાણ હોવાના કારણે ફરિયાદીને પોતાનો મુદ્દામાલ પરત મેળવવામાં ખૂબ જ તકલીફ પડતી હોય છે. જ્યારે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત જે ડિવિઝનના એસીપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ઝોન 06 વિસ્તારના પોલીસ સ્ટેશનોમાં ગુમ થયેલ મોબાઈલ ફોન ઝોન 06 એલસીબી તથા ટેકનિકલ સેલના ઇન્ચાર્જ પીએસઆઇ એમ.એલ.પરમાર સહિતની ટીમ દ્વારા CEIR પોર્ટલ અંતર્ગત લોકોના ગુમ થયેલા કુલ 55 મોબાઈલ ફોન કિંમત રૂ. 8,34,313/- નો મુદ્દામાલ શોધી કાઢવામાં આવ્યો હતો.


ઝોન 06 ના પોલીસ અધિકારીઓ તથા સ્ટાફ દ્વારા ફરિયાદીને સામેથી બોલાવી, તમામ કાર્યવાહીમાં મદદરૂપ થઈ, તાત્કાલિક મુદ્દામાલ પરત સોંપવા કાર્યવાહી કરવામાં આવતા, ગુમ થયેલ મુદ્દામાલ ફરિયાદીને પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂ બોલાવી, ડીસીપી ઝોન 06, શ્રી રવિ મોહન સૈની, મદદનીશ પોલીસ કમિશનર પ્રદીપસિંહ જાડેજા, પીએસઆઈ એમ.એલ.પરમાર, એમ.કે.પંડ્યા, સહિતના પોલીસ અધિકારીઓ તથા સ્ટાફની હાજરીમાં સોંપવામાં આવ્યો હતો.


અમદાવાદ શહેર પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમના ભાગરૂપે ટૂંકા ગાળામાં ફરિયાદીને આશરે સાડા આઠ લાખ રૂપિયા જેટલા માતબર રકમના મોબાઈલ ફોન પરત કરવામાં આવતા, ફરિયાદી ભાવ વિભોર થયા હતા અને વારંવાર અમદાવાદ શહેર પોલીસ તથા ઝોન 06 પોલીસનો આભાર વ્યક્ત કરતા જોવા મળ્યા હતા. અમદાવાદ પોલીસ દ્વારા લોકોના જાનમાલની સુરક્ષા સાથે મુદ્દામાલ તાત્કાલિક પરત અપાવી, સેવાનું ઉદાહરણ પૂરું પાડી, પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને ખરા અર્થમાં સાકાર કર્યું છે.
આ પણ વાંચો, Rajkot: બેડલા સીમમાં પશુબલી સ્થળે વિજ્ઞાન જાથાની ટીમ પહોંચી, ભુવા સહિત માનતા કરનારા ઉભી પૂંછડીએ ભાગ્યા