અમદાવાદ: પાંચકૂવા દરવાજા પાસે લાલાભાઈની બારીમાં મકાન ધરાશાયી, રેસ્ક્યૂ કરાયા બાદ મહિલા જિંદગીની જંગ હારી

અમદાવાદ શહેરમાં ગઈ કાલ સાંજથી વરસાદના જોરદા ઝાપટાં જોવા મળી રહ્યા છે. હવામાન ખાતાની આગાહી મુજબ હજુ પણ અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે. આ બધા વચ્ચે અમદાવાદના શહેર કોટડા વિસ્તાર પાંચકૂવા દરવાજા પાછળ લાલાભાઈની બારીમાં આવેલું એક જર્જરિત મકાન તૂટી પડતા કાટમાળ નીચે 3 લોકો દટાયા હોવાના સમાચાર છે.
પાંચકૂવા દરવાજા પાછળ એક જર્જરિત મકાન અચાનક ધરાશાયી થયું છે. આ ગંભીર ઘટનાની જાણ થતાં જ અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી હાથ ધરી છે. પ્રાથમિક માહિતી મુજબ ફાયર બ્રિગેડે સ્થાનિકો અને મજૂરોની મદદથી કાટમાળ હટાવી ત્રણ લોકોને બહાર કાઢ્યા હતા.બે લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા જ્યારે બીજા માળે દટાયેલા સોનલબેન રાણાનું બે કલાકની જહેમત બાદ રેસ્ક્યુ કરાયું હતું. જોકે, હોસ્પિટલ ખસેડતા પહેલા જ તેમનું મોત નીપજ્યું.