Ahmedabad: ધરું ઉછેર કરી ધરખમ આવક મેળવતા ખેડૂત, વર્ષે 40-50 લાખ રોપા ઉછેરીને ખેડૂતોને પૂરા પાડે છે

અમદાવાદ જિલ્લાના ધોળકા પંથકમાં વધુ એક સફળ ખેડૂત ઈશ્વરભાઈ (ચીકાભાઈ) કોળી પટેલે ધરુ ઉછેરના વ્યવસાય થકી માત્ર પોતાની આર્થિક ઉન્નતિ જ નથી સાધી, પરંતુ દૂર-સુદૂરના ખેડૂતો સુધી ગુણવત્તાયુક્ત રોપા પહોંચાડીને કૃષિ વિકાસમાં મહત્ત્વનો ફાળો આપ્યો છે. તેઓ ધોળકામાં જમીન ભાડે રાખીને મરચી, ટમેટા, રીંગણ જેવા શાકભાજી તેમજ હજારી (ગલગોટા) ફૂલોના રોપા ઉછેરવાનો મોટા પાયે વ્યવસાય કરી રહ્યા છે.

ઈશ્વરભાઈની સફળતા પાછળ તેમની દીર્ઘદૃષ્ટિ અને નવીન અભિગમ રહેલો છે. તેમણે અનુભવ્યું કે ધરુને એક સ્થળેથી બીજે સ્થળે, ખાસ કરીને દૂરના અંતરે, સુરક્ષિત રીતે પહોંચાડવા એ એક મોટો પડકાર છે. આ સમસ્યાના નિરાકરણ માટે તેમણે ખાસ પ્રકારના સ્ટ્રે (ટ્રે) અને મજબૂત પ્લાસ્ટિકના કેરેટ બનાવડાવ્યા છે. આ વ્યવસ્થાને કારણે રોપાઓ તૂટ્યા વિના કે નુકસાન પામ્યા વગર લાંબા અંતર સુધી ટ્રાન્સપોર્ટ કરી શકાય છે.

તેમની આ સુવિધા અને રોપાની ગુણવત્તાને કારણે આજે ઈશ્વરભાઈના ધરુ માત્ર ધોળકા પૂરતા સીમિત ન રહેતાં બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લાઓ તેમજ સૌરાષ્ટ્રના અનેક ગામડાઓ સુધી પહોંચાડવામાં આવે છે. તેઓ વાર્ષિક ધોરણે આશરે ૪૦થી ૫૦ લાખ જેટલા રોપા ઉછેરીને ખેડૂતોને પૂરા પાડે છે. આ રોપાઓના વેચાણ થકી તેઓ વર્ષે અંદાજે ૬૦થી ૭૦ લાખ રૂપિયાનું ટર્નઓવર હાંસલ કરે છે, જે તેમની મહેનત અને કુશળતાનું પ્રમાણ છે.

ઈશ્વરભાઈની આ સફળ યાત્રામાં બાગાયત ખાતાનો પણ મહત્ત્વનો ફાળો રહ્યો છે. તેમને બાગાયત ખાતા દ્વારા આશરે પોણા ત્રણ લાખ રૂપિયાની સબસીડી આપવામાં આવી છે. આ ઉપરાંત, બાગાયત ખાતા દ્વારા વધરાળ ખાતે આયોજિત વિશેષ તાલીમમાં ભાગ લઈને તેમણે ધરુ ઉછેરની આધુનિક પદ્ધતિઓ, રોગ-જીવાત નિયંત્રણ અને વ્યવસાય વ્યવસ્થાપન અંગેનું જ્ઞાન મેળવ્યું. આ તાલીમ અને સરકારી સહાય થકી જ તેઓ પોતાના વ્યવસાયને આટલા મોટા પાયે વિકસાવી શક્યા છે.

ટામેટા, મરચી, રીંગણ જેવા શાકભાજીના બીજ વાવવાને બદલે સીધા જ તેના નાના છોડને રોપીને પણ શાકભાજીનું વાવેતર કરવામાં આવે છે. બીજ દ્વારા શાકભાજી ઉગાડવામાં ઘણીવાર ૪૦% જેટલા બીજનું જર્મીનેશન થતું નથી. એટલે કે બીજમાંથી છોડ ઉગતા નથી. તેથી નર્સરીમાં ઉગાડેલા છોડને લાવી ખેતરમાં રોપવામાં આવે છે અને મબલખ પાક મેળવવામાં આવે છે. શાકભાજીના આ પ્રકારના વાવેતર માટે ધરુ (નાના છોડ) ઉગાડતી નર્સરીની જરૂર પડે છે.

ઈશ્વરભાઈ માટીને બદલે કોકોપીટ અને વર્મિક્યુલાઈટમાં શાકભાજીના બીજ વાવી, માટીજન્યરોગથી મુક્ત એવા છોડ ઉછેર્યા છે, જેથી ખેડૂતો તેમના ખેતરમાં આ છોડ વાવી શાકભાજીનો મબલખ પાક લઇ રહ્યા છે. અને અરવિંદભાઇને પણ માતબર આવક થઇ રહી છે. કોકોપીટ સૂકા નારિયેળના છોતરામાંથી બને છે. વર્મિક્યુલાઈટ જમીનમાંથી જ મળતું ખનીજ છે.

ઈશ્વરભાઈ કોળી પટેલની કહાણી દર્શાવે છે કે ખેતીમાં યોગ્ય આયોજન, નવીનતા અને સરકારી યોજનાઓનો સુભગ સમન્વય કરીને નોંધપાત્ર સફળતા મેળવી શકાય છે. તેઓ આજે અન્ય ખેડૂતો માટે પ્રેરણાસ્રોત બન્યા છે.

આ પણ વાંચો, Mushroom cultivation: ઉત્તરાખંડની બેટી ગુજરાતમાં કરે છે મશરૂમની ખેતી, આધુનિક ખેતી થકી મશરૂમનું મબલખ ઉત્પાદન

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *