અમદાવાદ ક્રાઇમબ્રાન્ચે 50 ગેરકાયદેસર પ્રવાસીઓની કરી અટકાયત, 15 બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરાયા

રાજ્ય સરકારે રાષ્ટ્રવિરોધી પ્રવૃતિ કરનારાઓ સામે મોટી કાર્યવાહી કરી હતી. મળતી જાણકારી અનુસાર, અમદાવાદ ક્રાઈમબ્રાંચે ગેરકાયદેસર ઈમિગ્રન્ટસ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી હતી. ક્રાઇમ બ્રાન્ચે 15 બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કર્યા હતા. દેહવિક્રય માટે સગીર છોકરીની હેરાફેરીમાં સંડોવાયેલા વ્યકિતની ધરપકડ પણ કરવામાં આવી હતી.
પોલીસે ગેરકાયદેસર ઈમિગ્રન્ટસ માટે નકલી ભારતીય દસ્તાવેજો બનાવતા રેકેટનો પર્દાફાશ કર્યો હતો. કોમ્બિંગ ઓપરેશન દરમિયાન 50 ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સની અટકાયત કરી હતી. જેમાંથી 15 ઈમિગ્રન્ટ્સ અને 1 સગીરાને બાંગ્લાદેશ ડિપોર્ટ કરાયા હતા. બાકીના ઈમિગ્રન્ટસના દેશનિકાલ માટેની પ્રક્રિયા ચાલી રહી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને આ જાણકારી આપી હતી.
ભાજપ નેતા જયરાજસિંહ પરમારે કહ્યું હતું કે ગેરકાયદેસર પ્રવૃતિ કરનારાઓ સામે કાર્યવાહી કરાઈ છે. CAA સમયે વિપક્ષોએ વિરોધ કર્યો હતો. CAAનો કાયદો નાગરિકતો આપવાનો છે છીનવવાનો નથી. પોલીસની કાર્યવાહીને ભાજપ નેતા જયરાજસિંહે બિરદાવી હતી.
જ્યારે કોંગ્રેસે કહ્યું હતું કે પોલીસ હજુ પણ કડક કાર્યવાહી કરે. રાષ્ટ્રવિરોધી પ્રવૃતિ કરનારાને સાંખી લેવામાં આવશે નહીં. અમદાવાદ સુધી ગેરકાયદે કેવી રીતે ઘૂસ્યા તે સૌથી મોટો સવાલ છે. માત્ર બાંગ્લાદેશને મુદ્દો બનાવવો જોઇએ નહીં. સરહદોથી કેવી રીતે અંદર ઘૂસે છે તેની તપાસ થવી જોઈએ. ઘૂસણખોરી કરાવતા એજન્ટો સામે પોલીસ કાર્યવાહી કરે તે જરૂરી છે. એજન્ટો વગર બીજા દેશનો કોઈ નાગરિક ઘૂસી શકે નહીં.