Ahmedabad: લોથલમાં ‘નેશનલ મેરિટાઈમ હેરિટેજ કૉમ્પ્લેક્સ’નું નિર્માણ, 4,500 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થશે

ગુજરાતના અમદાવાદ જિલ્લામાં આવેલું લોથલ સિંધુ ખીણની સંસ્કૃતિના મુખ્ય વેપાર કેન્દ્રની સાથે સાથે ભારતની સમુદ્ર શક્તિ અને સમૃદ્ધિનું પ્રતીક પણ હતું. આ ઐતિહાસિક સિંધુ સંસ્કૃતિના ઇતિહાસના સાક્ષી સમા લોથલમાં ભારતના ભવ્ય દરિયાઈ વારસાને દર્શાવતું ‘નેશનલ મેરિટાઈમ હેરિટેજ કૉમ્પ્લેક્સ’ (NMHC) નિર્માણ પામી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે પાંચ પ્રણો આપ્યાં છે, તેમાંનું એક પ્રણ પ્રાચીન વિરાસતોનું સંવર્ધન કરવાનું છે, જે ‘નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ’ના નિર્માણ થકી સાકાર થવા જઈ રહ્યું છે. પાંચ હજાર વર્ષ પહેલાં ભારત કેવી સભ્યતા ધરાવતું રાષ્ટ્ર હતું, કેવી રીતે વૈશ્વિક વ્યાપાર કરાતો હતો, તેનું જીવંત નિદર્શન આ હેરિટેજ કૉમ્પ્લેક્સમાં કરવામાં આવશે.
‘નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ’માં ઇતિહાસ, શિક્ષણ, સંશોધન અને મનોરંજનનો સુભગ સમન્વય સર્જાશે. લોથલ પાંચેક હજાર વર્ષ પહેલાં માત્ર એક બંદર જ નહોતું, પરંતુ અહીં દરિયાઈ જહાજો પણ બનતાં હતાં, એ જ્વલંત ઇતિહાસ અહીં ફરી જીવંત થશે. આધુનિક ટેક્નોલોજી થકી ભવ્ય દરિયાઈ પ્રાચીન વારસાની અનુભૂતિ કરાવવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદૃષ્ટિના કારણે આ અતિપ્રાચીન સ્થળનો ફરી વિકાસ શક્ય બન્યો છે. ગુજરાતની પ્રાચીન ધરોહરનું મહત્ત્વનું સ્થળ લોથલ એક મોટા પરિવર્તનનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. આમ, ગુજરાતના સમૃદ્ધ પ્રાચીન સામુદ્રિક વારસાની વિરાસતને આધુનિક યુગના આયામો સાથે જોડીને નિર્માણ થઇ રહેલું આ મ્યુઝિયમ ‘વિરાસત ભી વિકાસ ભી’ના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ધ્યેયને સાકાર કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય દ્વારા ગુજરાતના લોથલ ખાતે ‘નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ’નું નિર્માણ થઇ રહ્યું છે. ભારત દેશના મેરિટાઈમ ઇતિહાસ અને ટેક્નોક્રાફ્ટના મિશ્રણ સાથે તૈયાર થનારું આ હેરિટેજ કૉમ્પ્લેક્સ લોકો માટે એક પ્રવાસન સ્થળ ઉપરાંત અભ્યાસ માટેનું કેન્દ્ર બનશે. નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ એક નવા આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે અને વિશ્વના અન્ય આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમોની સમકક્ષ તેની સારસંભાળ લેવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, લોથલમાં હેરિટેજ મ્યુઝિયમનું નિર્માણ એ રીતે કરવામાં આવી રહ્યું છે કે ભારતનો સામાન્ય માણસ તેનો ઇતિહાસ સરળતાથી સમજી શકે. જેમાં અત્યંત આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને એ જ યુગને ફરી સજીવન કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. લોથલ, હડપ્પન સંસ્કૃતિ સમયના અગ્રણી શહેરોમાંનું એક હતું અને સૌથી જૂના માનવસર્જિત ડોકયાર્ડની શોધ માટે તે જાણીતું છે. લોથલમાં નેશનલ મેરિટાઇમ હેરિટેજ મ્યુઝિયમનું નિર્માણ એ શહેરના ઐતિહાસિક વારસા અને ધરોહરની સ્મૃતિના જતન માટે એકદમ યોગ્ય છે. આ સાથે આ પહેલ મેરિટાઇમ હેરિટેજ ટુરિઝમ, સંશોધન અને નીતિગત વિકાસમાં ભારતને એક વૈશ્વિક કેન્દ્ર બનાવીને વડાપ્રધાનના ‘આત્મનિર્ભર ભારત’ વિઝનને સાકાર કરે છે.

૨૦૨૫ના અંત સુધીમાં ફેઝ ૧-Aના ભાગ રૂપે ૬ મ્યુઝિયમ ગેલેરીઓ સંપૂર્ણપણે કાર્યરત થવાની સંભાવના છે. જ્યારે ફેઝ ૧-B હેઠળ વધારાની ૮ ગેલેરીઓ પછીના તબક્કામાં પૂર્ણ થવાની અપેક્ષા છે. નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સમાં વિશ્વનું સૌથી ઊંચું લાઇટહાઉસ મ્યુઝિયમ પણ તૈયાર થશે. આ આઇકોનિક લાઇટહાઉસ મ્યુઝિયમ હશે. આ લાઇટહાઉસ મ્યુઝિયમ ૭૭ મીટરનું હશે જેમાં ૬૫ મીટર ઉપર ઓપન ગેલેરી હશે, જે સમગ્ર સંકુલના તમામ મુલાકાતીઓને ઓપન એર વ્યૂઇંગ ગેલેરી પ્રદાન કરશે. એટલું જ નહીં, રાત્રીના સમયે લાઇટિંગ શો પણ થશે. નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ મ્યુઝિયમમાં ફ્લોટિંગ રેસ્ટોરન્ટની સુવિધા પણ ઊભી કરવામાં આવશે. ૧૦૦ રૂમનું ટેન્ટ સિટી અને રિસોર્ટ પણ તૈયાર થશે. આખા મ્યુઝિયમમાં ફરવા માટે ઈ-કારની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવશે. ૫૦૦ ઇલેક્ટ્રિક કારના પાર્કિંગની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવનાર છે. આ ઉપરાંત ૬૬ કે.વીનું સબસ્ટેશન પણ કાર્યરત થઇ ગયું છે.
આ નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ લગભગ રૂ. ૪,૫૦૦ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થઇ રહ્યું છે. આ પ્રોજેક્ટ માટે ૩૭૫ એકર જમીન રાજ્ય સરકારે ફાળવી છે. આ મ્યુઝિયમમાં હડપ્પન આર્કિટેક્ચર અને જીવનશૈલીને ફરીથી ઉજાગર કરવા માટે લોથલ મિની રિક્રિએશન ઉપરાંત ‘મેમોરિયલ થીમ પાર્ક’, ‘મેરિટાઇમ અને નેવી થીમ પાર્ક’, ‘ક્લાઇમેટ થીમ પાર્ક’ ‘તેમજ એડવેન્ચર એન્ડ એમ્યુઝમેન્ટ થીમ પાર્ક’ જેવા ચાર થીમ પાર્કના નિર્માણના પગલે ઘણી આવિષ્કારી અને યુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવશે. હડપ્પીયન સમયથી શરૂ કરીને આજ સુધીના ભારતના સમુદ્રી વારસા પર પ્રકાશ પાડતી ૧૪ ગેલેરીઓ તેમજ અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના વિવિધ સમુદ્રી વારસાને પ્રદર્શિત કરતું કોસ્ટલ સ્ટેટ્સ પેવેલિયન પણ અહીં રાખવામાં આવશે.

સૌથી અગત્યની વાત એ પણ છે કે. નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સમાં મેરિટાઇમ યુનિવર્સિટી બનશે. આમ, મેરીટાઈમની ડિગ્રી એક જગ્યાએ પ્રાપ્ત થશે. સાથો-સાથ સ્ટુડન્ટ્સ એક્સેચેન્જ પ્રોગ્રામને વેગ મળશે. નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સમાં માત્ર મેરીટાઈમ કૉમ્પ્લેક્સ જ નહીં પરંતુ અભ્યાસ માટે ઈન્સ્ટિટ્યૂટ પણ બનાવવામાં આવશે. આ સાથો-સાથ દુનિયાની સૌથી મોટી અંડર વોટર થીમિંગ ઓપન ગેલેરી પણ આ જ કૉમ્પ્લેક્સ બનાવવામાં આવશે. આ મ્યુઝિયમનાં મુલાકાતીઓને એક ભવ્ય મેરિટીઇમ ઇતિહાસમાંથી પસાર કરશે અને તેમને એક વિશ્વસ્તરીય મ્યુઝિયમની મુલાકાતનો અનુભવ મળશે.
આ પણ વાંચો, Gandhinagar: ગુજરાત રાજ્ય ચોથા નાણાં પંચમાં ત્રણ પૂર્ણકાલીન સભ્યોની નિમણૂક કરાઈ