Rahul Gandhi: કેજરીવાલ-ભગવંત માન હાલ ગુજરાતમાં, હવે રાહુલ ગાંધી પણ આવશે

આગામી 26 જુલાઈએ કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે. તેમના આ પ્રવાસ દરમિયાન ખાસ કરીને નવનિયુક્ત જિલ્લા અને શહેર સ્તરના કોંગ્રેસ પ્રમુખો સાથે બેઠક યોજાશે. પાર્ટીના સંગઠનાત્મક માળખાને વધુ મજબૂત બનાવવા માટે આ બેઠક મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ઉપરાંત, જિલ્લા પ્રમુખો માટે ખાસ તાલીમ શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં આગામી યોજનાઓ અને પાર્ટી કૌશલ્ય પર માર્ગદર્શન આપવામાં આવશે.
જ્યાં કોંગ્રેસ રાજકીય સ્તરે આયોજનમાં લાગી છે, ત્યાં બીજી બાજુ પશુપાલકોની સમસ્યા પર હવે રાજકીય ગતિશીલતા જોવા મળી રહી છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની પ્રતિષ્ઠિત સાબર ડેરીના દુઘના ભાવમાં થયેલા ફેરફારથી છેલ્લા એક અઠવાડિયાથી પશુપાલકો નારાજ છે અને વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે. પશુપાલકોના આ વિરોધને હવે રાજકીય ટેકો પણ મળવા લાગ્યો છે.આમ આદમી પાર્ટી (AAP) એ પશુપાલકોના સમર્થનમાં ખુલ્લું મંચ ઝંપાવ્યું છે. આજે 23 જુલાઈએ મોડાસાના મેઘરજ ખાતે આવેલા કુમકુમ પાર્ટી પ્લોટમાં બપોરે 12 વાગ્યે AAP દ્વારા ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાપંચાયતમાં પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને ગુજરાત AAPના નેતા ઈસુદાન ગઢવી હાજર રહેશે.
આ મહાપંચાયતમાં ખાસ કરીને દુઘના ભાવના મુદ્દે ચર્ચા થવાની શક્યતા છે. હાલમાં રાજ્યમાં દૂધ ઉત્પાદકો અને ડેરી સંસ્થાઓ વચ્ચેનો વિવાદ અત્યંત સંવેદનશીલ બની ગયો છે અને તેના પર રાજકીય પક્ષો પોતાનું મંચ બનાવતા જોવા મળી રહ્યા છે. એક તરફ રાહુલ ગાંધીની મુલાકાત, અને બીજી તરફ AAPની મહાપંચાયત – રાજ્યની રાજનીતિમાં ફરી એક વખત ગરમાવો દેખાઇ રહ્યો છે.
આ પણ વાંચો. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે પ્રક્રિયા શરૂ, ટુંક સમયમાં તારીખ જાહેર થશે