Vijapur: વિજાપુરમાં મકાનના રિનોવેશન દરમિયાન દીવાલ ધરાશાયી; 3 શ્રમિકનાં મોત, 3ને ઈજા

મહેસાણાના વિજાપુરમાં દીવાલ ધસી પડતાં ત્રણ શ્રમિકનાં મોત થયાં હોવાની દુર્ઘટના સામે આવી છે, જ્યારે ત્રણ લોકોને ઇજા પહોંચી છે. જેથી ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. જ્યા એકની હાલત ગંભીર છે. દુર્ઘટના અંગે મળતી માહિતી મુજબ વિજાપુરના સુંદરપુર ગામમાં મકાનના રિનોવેશન દરમિયાન દીવાલ ધરાશાયી થઈ છે.
મળતી માહિતી મુજબ, મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના સુંદરપુર ગામમાં દીવાલ ધસી પડતાં ત્રણ લોકોના મોત થયા છે. સુંદરપુર ગામમાં મહાદેવ મંદિર પાસે અશ્વિન પટેલનું જુનું મકાન તોડીને નવીન મકાન બનાવવાનું કામ ચાલતું હતું. ત્યારે મકાન બનાવવાની કામગીરી દરમિયાન બાજુની જૂની દીવાલ અચાનક જ ધસી પડી હતી. દીવાલ ધસી પડતા કાટમાળ નીચે 6 લોકો દટાયા હતા. જેથી અફરાતફરી મચી ગઈ હતી.


દીવાલ ધસી પડવાની ઘટનાને પગલે તાત્કાલીક સ્થાનિકો બચાવ કામગીરી માટે દોડી આવ્યાં હતા. જે બાદ સ્થાનિક તંત્રએ પણ જેસીબી મશીનથી કાટમાળ હટાવવાનું શરૂ કર્યું હતું. આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે ત્રણ લોકોને ઈજા પહોંચી છે. જેથી ત્રણેયને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. જ્યા એકની હાલત ગંભીરહોવાનું સામે આવ્યું છે.
દીવાલ નીચે કોન્ટ્રાક્ટર તેમજ મજૂરો સહિત 6 લોકો દટાયા હતા. સુંદરપુરમાં દીવાલ પડવાની ઘટના બાદ બચાવ કામગીરી ઝડપી કરવામાં આવી છે. જોકે, ત્રણ લોકોના મોત થયાં ગામમાં અને મૃતકોના પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.