Earthquake in Myanmar: મ્યાનમારમાં 24 કલાકમાં 15 આફ્ટર શોક્સ, થાઈલેન્ડમાં પણ તારાજી; 10 હજારથી વધુના મોતની આશંકા

મ્યાનમારમાં એક પછી એક બે શક્તિશાળી ભૂકંપથી પાંચથી વધુ દેશોમાં ધરા ધ્રૂજી ઊઠી હતી. જોકે, આ ભૂકંપના કારણે મ્યાનમાર અને થાઈલેન્ડમાં સૌથી વધુ નુકસાન થયું છે. મ્યાનમાર અને થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં સેંકડો બહુમાળી ઈમારતો પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઇ હતી. ભૂકંપનો આંચકો એટલો ભારે હતો કે લોકો ગભરાઈ ગયા હતા અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મ્યાનમાર-થાઈલેન્ડમાં જે રીતની તબાહી મચી છે તેને જોતાં મોતનો આંકડો 1000ને પાર નીકળી ગયો છે જ્યારે ઘાયલોની સંખ્યા 2376 થઈ ગઈ છે.

હજુ હજારો લોકો કાટમાળ નીચે દટાયા હોવાથી મોતનો આંકડો વધી શકે છે. જોકે,અમુક મીડિયા અહેવાલો મુજબ ભૂકંપને કારણે કાટમાળ નીચે દટાઈ જતાં હજારો લોકોનાં મોત થયા છે. આ સિવાય ભારત, ચીન, બાંગ્લાદેશ અને તાઈવાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેથી લોકો ગભરાઈને ખુલ્લા મેદાનમાં દોડી આવ્યા હતા. આજે સવારે અફઘાનિસ્તાનમાં પણ 4.7 થી વધુની તીવ્રતાનો ભૂકંપ આવતા વધુ ડર ફેલાયો છે. ભૂકંપની ભયાનકતાનો અંદાજ મૃત્યુઆંક પરથી જ આવી જાય છે. ભૂકંપગ્રસ્ત દેશોમાંથી જેવી તસવીરો અને વીડિયો સામે આવ્યા છે તે ખરેખર ભયાનક છે. હજારો ઈમારતો, મંદિર-મસ્જિદ, બ્રિજ, મકાનો ધરાશાયી થઈ ગયા છે. કાટમાળમાં અસંખ્ય લોકો દટાઈ ગયા છે. હજુ મૃત્યુઆંક વધવાની શક્યતા છે. 

મ્યાનમારના બીજા સૌથી મોટા શહેર માંડલે નજીક સાગાઈંગમાં શુક્રવારે બપોરે 12:00 કલાકે 7.7ની તીવ્રતાના ભૂકંપે ભારે વિનાશ વેર્યો હતો. વિનાશક ભૂકંપની મિનિટો પછી 6.4ની તીવ્રતાના આફ્ટર શોક્સ પણ અનુભવાયા હતા. આમ, મ્યાનમારમાં 50 મિનિટના ટૂંકાગાળામાં ભૂકંપના ત્રણ મોટા ઝટકા નોંધાયા હતા. ત્યાર પછીના આફ્ટર શોક્સની તીવ્રતા ઘટતી ગઈ હતી. આગામી 24 કલાકમાં હજુ વધુ ભૂકંપ આવવાનું જોખમ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

બીજીબાજુ બેંગકોકમાં બાંધકામ હેઠળની એક ઈમારત પત્તાના મહેલની જેમ સેકંડોમાં કડડભૂસ થઈ જતાં અનેક કામદારો ઈમારતના કાટમાળમાં ફસાઈ ગયા હોવાની આશંકા છે. ઘટનાસ્થળે ત્રણ કામદારોનાં મોત નીપજ્યાં છે અને 90થી વધુ લાપતા છે તેમ સંરક્ષણ મંત્રી ફુમથામ વેચાયાચીએ કહ્યું હતું. એડિનબર્ગ યુનિવર્સિટીમાં જીયોસાયન્સ સ્કૂલના સિસ્મોલોજી અને રોક ફિઝિક્સમાં પર્સનલ ચેર પ્રોફેસર ઈયાન મેને જણાવ્યું કે, બંને દેશોમાં ભૂકંપમાં અંદાજે 10000થી એક લાખ લોકોના માર્યા ગયા હોવાની આશંકા છે. માંડલેમાં સ્થિત મસ્જિદ તૂટી પડી હતી. આ મસ્જિદમાં શુક્રવારની નમાઝ પઢી રહેલાં 20થી વધુ લોકોનાં મોત થયા છે. આ સિવાય પણ અન્ય બે મસ્જિદો અને ઐતિહાસિક 90 વર્ષ જૂનો અવા બ્રિજ તૂટી પડયા હતા.

આ પણ વાંચો, Vadodara: બેફામ ડમ્પરે માતા-પુત્રીને અડફેટે લેતાં પુત્રીનું મોત, બંને દીકરીને લઈ માતા મોપેડ પર ભાઈના ઘરે જઈ રહી હતી

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *