ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ

ભાવનગરમાં સાત લોકોનો ભોગ લેનારા ઝેરીલા દારૂકાંડ મામલે પોલીસ અને સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા મોટા પાયે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વરતેજ પોલીસ મથકમાં આ ઘટના અંગે કુલ 21 બુટલેગરો સામે નામજોગ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાંથી SMCની ટીમે તપાસ દરમિયાન મુખ્ય સૂત્રધાર ગૌતમ સોલંકી અને તેના સાગરિતો સહિત 13 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પકડાયેલા તમામ ઈસમોને ભાવનગર એલસીબી કચેરી ખાતે રાખવામાં આવ્યા છે અને બપોર બાદ તેઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
લઠ્ઠાકાંડ બાદ વરતેજ પોલીસ સ્ટેશનના અધિકારીઓની ગંભીર બેદરકારી સામે આવી છે. ભાવનગરના રેંજ આઈજી દ્વારા વરતેજ પોલીસ સ્ટેશનના PI એસ.ડી. પઢેરિયાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત, ખરકડીના ઉપસરપંચ હરુભા ગોહિલે પોલીસ પર ગંભીર આરોપ લગાવતા જણાવ્યું હતું કે, ખરકડી ગામમાં લાંબા સમયથી ચાલતા દારૂના અડ્ડા અને બુટલેગર ગૌતમ સોલંકી અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં વરતેજ પોલીસે કોઈ કાર્યવાહી કરી નહોતી અને બુટલેગરોને છાવર્યા હતા.
ઝેરી દારૂકાંડના કનેક્શનમાં SMCની ટીમ દ્વારા મધ્યપ્રદેશના ઉજ્જૈનથી મિલાવટી દારુના મુખ્ય સૂત્રધાર રઈશની ધરપકડ કરવામાં આવી છે. આરોપી રઈશને લઈને SMCની ટીમ ભાવનગર પહોંચી ગઈ છે અને એસપી તેમજ ડીસીપી કચેરી ખાતે તેની ઊંડાણપૂર્વક પૂછપરછ હાથ ધરાઈ છે. ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓની પણ અલગ-અલગ દિશામાં તપાસ ચલાવવામાં આવી રહી છે.
બીજી તરફ, દારૂ પીધા બાદ શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ પામેલા શિક્ષક હિતેશ પરમારનું સર ટી હોસ્પિટલમાં સાડા ત્રણ કલાક સુધી પોસ્ટમોર્ટમ ચાલ્યા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો છે. તેમનો પીએમ રિપોર્ટ મોડી સાંજે આવે તેવી શક્યતા છે, જેનાથી મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે. આ સિવાય, ભાવનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓએ પોતે દારૂ પીધો હોવાનો સ્વીકાર કર્યો છે. મૃતક ઉપેન્દ્રસિંહના પિતરાઈ ભાઈ પણ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.