રાજ્યમાં ભર ઉનાળે વરસાદી માહોલ, 5 એપ્રિલ સુધી વાતાવરણમાં પલટાની આગાહી

ગુજરાતમાં ભર ઉનાળાની વચ્ચે અચાનક હવામાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 5 એપ્રિલ સુધી વાતાવરણમાં પલટો રહેવાની શક્યતા છે, જેના કારણે વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે જણાવ્યું હતું કે, આજે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે મધ્ય ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.
હવામાનમાં આ બદલાવ પાછળ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવું મુખ્ય કારણ માનવામાં આવે છે. સાથે સાથે ઇન્ડ્યુઝ્ડ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમની અસર પણ જોવા મળશે. વધુમાં, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય હોવાને કારણે પણ વરસાદી પરિસ્થિતિ ઊભી થઈ રહી છે.અમદાવાદ શહેરમાં આજે હળવા વરસાદની સંભાવના છે, જેના કારણે ગરમીમાં થોડી રાહત મળશે. હવામાન વિભાગે જણાવ્યું છે કે 2 અને 3 એપ્રિલના રોજ ફરી એકવાર વાતાવરણમાં પલટો આવી શકે છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. આ અનિશ્ચિત હવામાનને ધ્યાનમાં રાખીને ખેડૂતો અને નાગરિકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.
https://www.instagram.com/timenewsguj
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો: ગાંધીનગર નજીક રાયપુર કેનાલમાં દુર્ઘટના, બે યુવકોના ડૂબી જવાથી મોત