29 રાજ્યોમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરનું વેચાણ શરૂ: સરકારે કહ્યું ડરવાની જરૂર નથી

ગલ્ફ દેશોમાં ચાલી રહેલા યુદ્ધ અને ઇંધણ માટે મહત્વના ‘હોર્મુઝ સ્ટ્રેટ’ માર્ગ બંધ થવાના સમાચારો વચ્ચે, ભારતમાં ગેસની અછત સર્જાશે તેવા ડરથી લોકો આડેધડ ઘરેલું LPG સિલિન્ડર બુક કરાવી રહ્યા છે. જોકે, સરકારે સ્પષ્ટતા કરી છે કે 29 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોમર્શિયલ ગેસનું વેચાણ રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવ્યું છે. પેટ્રોલિયમ મંત્રાલયે ખાતરી આપી છે કે દેશમાં પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસનો પૂરતો સ્ટોક છે, તેથી ગભરાવાની કોઈ જ જરૂર નથી. આ ઉપરાંત, ગેસની સંગ્રહખોરી અને કાળાબજાર રોકવા માટે દેશભરમાં મોટા પાયે દરોડા પાડવામાં આવી રહ્યા છે અને ગેસ બુકિંગ માટે 25 અને 45 દિવસનો નવો નિયમ પણ લાગુ કરી દેવાયો છે.
પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ લોકોને આશ્વાસન આપતા જણાવ્યું કે, દેશમાં ક્રૂડ ઓઇલનો પૂરતો ભંડાર છે અને આપણી રિફાઇનરીઓ તેમની પૂરી ક્ષમતાથી કામ કરી રહી છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે દેશમાં કોઈપણ પેટ્રોલ પંપ પર ઇંધણ ખલાસ થયું હોવાના કોઈ જ અહેવાલ નથી. આપણે આપણી જરૂરિયાતને પહોંચી વળવા માટે સ્થાનિક સ્તરે પૂરતું પેટ્રોલ અને ડીઝલ બનાવીએ છીએ, એટલે તેને બહારથી આયાત કરવાની હાલ કોઈ જરૂર નથી. છતાં પણ, અફવાઓ અને ડરના કારણે લોકો ઘરેલું ગેસનું બુકિંગ વધારે પડતું કરી રહ્યા છે.
ગેસના પુરવઠા પર આવતું દબાણ ઘટાડવા સરકારે બુકિંગના નિયમો અંગે સ્પષ્ટતા કરી છે. હવેથી શહેરી વિસ્તારોમાં એક સિલિન્ડરની ડિલિવરી અને બીજા નવા બુકિંગ વચ્ચે ઓછામાં ઓછો 25 દિવસનો, જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં 45 દિવસનો ગેપ રાખવો ફરજિયાત છે.
https://www.instagram.com/timenewsguj