હવાઈ મુસાફરી કરતા લાખો લોકો માટે રાહતના સમાચાર, હવે આ કામ માટે નહીં ચૂકવવો પડે એક્સ્ટ્રા ચાર્જ, DGCAએ નિયમમાં કર્યો ફેરફાર

વિમાનમાં મુસાફરી કરતા લાખો લોકોને DGCA દ્વારા મોટી રાહત આપવામાં આવી છે. હવે જો તમે ફ્લાઇટ ટિકિટ બુક કરી છે, તો તેને 48 કલાકની અંદર કેન્સલ કરાવવા પર કોઈપણ પ્રકારનો એક્સ્ટ્રા ચાર્જ ચૂકવવો પડશે નહીં. આ સુવિધા નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય દ્વારા નવા નિયમો અંતર્ગત આપવામાં આવી રહી છે. જે યાત્રિકોના હિતમાં અને વધુ પારદર્શી બનાવવામાં આવી છે. DGCAનું આ પગલું યાત્રિઓની ફરિયાદો અને ટિકિટ રિફંડમાં વિલંબની સમસ્યાઓને જોતા લેવામાં આવ્યું છે.
DGCAના નવા સંશોધિત નિયમો અનુસાર, જો ટિકિટ સીધી એરલાઇનની વેબસાઇટ પરથી બુક કરવામાં આવી છે, તો બુકિંગના 48 કલાક અંદર મુસાફર પોતાની ટિકિટ કોઈપણ વધારાના ચાર્જ વગર કેન્સલ કરાવી શકે છે. સાથે જ, જો ટિકિટમાં નામમાં કોઈ ભૂલ છે અને મુસાફર તેને 24 કલાકની અંદર સુધારી લે છે, તો તેના માટે પણ કોઈ ચાર્જ ચૂકવવો પડશે નહીં. આ સુવિધા મુસાફરો માટે ખાસ કરીને ઓનલાઇન બુકિંગ પર લાગુ થાય છે.
જો ટિકિટ કોઈ ટ્રાવેલ એજન્ટ કે ઓનલાઈન પોર્ટલ દ્વારા ખરીદવામાં આવી છે, તો રિફંડની જવાબદારી એરલાઇનની રહેશે. DGCAએ એરલાઇન્સને નિર્દેશ આપ્યા છે કે, તે તમામ રિફંડને 14 વર્કિંગ ડે અંદર પૂરા કરી દે. તેનો અર્થ એ છે કે, હવે મુસાફરોએ લાંબી રાહ જોવી પડશે નહીં અને રિફંડ પ્રક્રિયા સંપૂર્ણ રીતે ડિજિટલ અને પારદર્શી હશે.
નવા નિયમોમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, જો કોઈ મુસાફર મેડિકલ ઇમરજન્સીના કારણે પોતાની ફ્લાઇટ કેન્સલ કરે છે, તો તેને રિફંડ મેળવવામાં કોઈપણ પ્રકારની સમસ્યા રહેશે નહીં. DGCA એ આ ફેરફાર એરલાઇન ટિકિટ રિફંડ સંબંધિત ફરિયાદો અને ડિસેમ્બર 2025માં ઇન્ડિગોની ઉડાનોમાં આવેલી સમસ્યા બાદ કર્યો છે.
આ નવા નિયમોથી ન માત્ર ટિકિટ કેન્સલેશન સરળ થયું છે, પરંતુ નામમાં ભૂલ સુધારવી હવે ફ્રીમાં શક્ય છે. મુસાફરોએ હવે પોતાના રિફંડ અને નામ સુધારા માટે અલગ અલગ વિભાગોના ધક્કા ખાવા પડશે નહીં. DGCAનું આ પગલું મુસાફરો માટે સુવિધાજનક, ઝડપી અને વિશ્વાસપાત્ર સાબિત થશે.
https://www.instagram.com/timenewsguj