અમદાવાદના બહેરામપુરામાં 19 વર્ષીય યુવકની છરીના ઘા મારી હત્યા, અંગત અદાવતની દિશામાં પોલીસ તપાસ

અમદાવાદમાં વધુ એક હત્યાની ઘટના સામે આવતા શહેરમાં ચકચાર મચી ગઈ છે. બહેરામપુરા વિસ્તારમાં ગતરાત્રે 19 વર્ષીય હિમેશ પરમારની અજાણ્યા શખ્સ દ્વારા જાહેરમાં હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. હિમેશ પોતાનું બાઈક લઈને હીરાલક્ષ્મી ફ્લેટ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે આ બનાવ બન્યો હતો. અચાનક એક અજાણી વ્યક્તિએ તેની સાથે તકરાર કરી અને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન યુવકને પેટ, હાથ અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી.
હુમલાખોરે છરી જેવા તીક્ષ્ણ હથિયારથી વારંવાર ઘા ઝીંક્યા બાદ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. લોહીલુહાણ હાલતમાં હિમેશ રસ્તા પર પડી ગયો હતો. આસપાસના લોકોએ તરત જ તેને સારવાર માટે એલજી હોસ્પિટલ ખસેડ્યો હતો. બનાવ અંગે પરિવારજનો અને પોલીસને જાણ કરવામાં આવી હતી. પરિવારના સભ્યો હોસ્પિટલ પહોંચ્યા ત્યારે સારવાર દરમિયાન જ હિમેશનું મોત થયું હતું. આ ઘટનાથી વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે અને લોકોમાં ચિંતા જોવા મળી રહી છે.
પ્રાથમિક તપાસમાં અંગત અદાવતને કારણે હત્યા થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. કાગડાપીઠ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને FSLની ટીમને સાથે રાખીને પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. આસપાસના સીસીટીવી કેમેરાની ફૂટેજ તપાસવામાં આવી રહી છે. જેથી હુમલાખોરની ઓળખ મળી શકે. પોલીસ દ્વારા અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. દરેક એંગલથી તપાસ કરવામાં આવી રહી હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.
ઝોન 6ના ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે હત્યા કોણે કરી તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. મૃતકના પરિવારજનો અને મિત્રોના નિવેદન લેવામાં આવ્યા છે. જે કોઈ શંકાસ્પદ વ્યક્તિઓ લાગે છે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ ખાસ ટીમો બનાવી હત્યારાનું પગેરું મેળવવા પ્રયાસ કરી રહી છે. શહેરમાં સતત વધી રહેલી ગુનાખોરીની ઘટનાઓને કારણે નાગરિકોમાં ચિંતા વધી છે. પોલીસે વહેલી તકે આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.
https://www.instagram.com/timenewsguj