બેન્ક યુનિયનોની આજે હડતાળ, ચેક ક્લિયરન્સ, એટીએમ સહિતની સેવાઓ પર થશે અસર

જો તમે આજે (27 ફેબ્રુઆરી) સરકારી બેન્કની મુલાકાત લેવાનું આયોજન કરી રહ્યા છો તો તમને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. યુનાઇટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સ (UFBU) એ મંગળવારે દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી છે. પરિણામે દેશભરની જાહેર ક્ષેત્રની બેન્કો (PSBs) માં કામગીરી પ્રભાવિત થવાની સંભાવના છે. યુનાઇટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સ દ્વારા આ હડતાળ ફાઈવ ડે વર્ક વીકને તાત્કાલિક અમલમાં લાવવાની માંગ માટે કરવામાં આવી રહી છે.
આ બેન્કોમાં કામગીરી પ્રભાવિત થઈ શકે છે
હડતાળ આ બેન્કોના સંચાલનને અસર કરી શકે છે: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, પંજાબ નેશનલ બેન્ક, બેન્ક ઓફ બરોડા, કેનેરા બેન્ક, યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન બેન્ક, બેન્ક ઓફ ઇન્ડિયા, સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક, યુકો બેન્ક, બેન્ક ઓફ મહારાષ્ટ્ર અને પંજાબ એન્ડ સિંધ બેન્ક. આ બેન્કોની શાખાઓમાં રોકડ જમા અને ઉપાડ, ચેક ક્લિયરન્સ અને વહીવટી કાર્ય પ્રભાવિત થવાની સંભાવના છે.
શું ખાનગી બેન્કો પણ પ્રભાવિત થશે?
જોકે, HDFC બેન્ક, ICICI બેન્ક અને એક્સિસ બેન્ક જેવી ખાનગી ક્ષેત્રની મોટી બેન્કો પર ઓછી અસર થવાની શક્યતા છે કારણ કે તેમના કર્મચારીઓ હડતાળમાં ભાગ લઈ રહ્યા નથી. UPI અને ઇન્ટરનેટ બેન્કિંગ જેવી ડિજિટલ બેન્કિંગ સેવાઓ રાબેતા મુજબ કાર્યરત રહેશે. જોકે, લોજિસ્ટિકલ કારણોસર કેટલાક સ્થળોએ ATM પર રોકડની ઉપલબ્ધતા પર અસર પડી શકે છે.
23 જાન્યુઆરીએ મુખ્ય શ્રમ કમિશનર સાથે થયેલી સમાધાન બેઠક અનિર્ણિત રહ્યા બાદ બેન્ક અધિકારીઓ અને કર્મચારીઓના નવ યુનિયનોના સંયુક્ત ફોરમે આ નિર્ણય લીધો હતો. 25 જાન્યુઆરી (રવિવાર) અને 26 જાન્યુઆરી (પ્રજાસત્તાક દિવસ) ના રોજ બેન્કો પહેલાથી જ બંધ હતી, તેથી મંગળવારની હડતાળ સતત ત્રણ દિવસ માટે શાખા-સ્તરની સેવાઓને ખોરવી નાખશે. SBI સહિત અનેક જાહેર ક્ષેત્રની બેન્કોએ સંભવિત અસર વિશે સ્ટોક એક્સચેન્જોને જાણ કરી છે. SBIએ જણાવ્યું હતું કે હડતાળના દિવસે બેન્કે શાખાઓ અને ઓફિસોની સામાન્ય કામગીરી સુનિશ્ચિત કરવા માટે વ્યવસ્થા કરી છે, પરંતુ હડતાળને કારણે કામગીરી હજુ પણ પ્રભાવિત થઈ શકે છે.
યુનિયનો માંગ કરી રહ્યા છે કે બધા શનિવારને રજા જાહેર કરવામાં આવે. માર્ચ 2024માં IBA સાથેના 12મા દ્વિપક્ષીય કરારમાં આ માંગણી પર સંમતિ સધાઈ હોવાનું કહેવાય છે, પરંતુ સરકારની સૂચના હજુ પણ રાહ જોવાઈ રહી છે. હાલમાં બેન્કો દર મહિનાના પહેલા, ત્રીજા અને પાંચમા શનિવારે ખુલ્લી રહે છે. ઓલ ઈન્ડિયા બેન્ક એમ્પ્લોઈઝ એસોસિએશન (AIBEA) ના જનરલ સેક્રેટરી સીએચ વેંકટચલમે સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે, “વ્યાપક ચર્ચા છતાં અમને અમારી માંગણી પર કોઈ ખાતરી મળી નથી તેથી અમને હડતાળ પર જવાની ફરજ પડી છે.”
“આ આંદોલન ગ્રાહકો વિરુદ્ધ નથી”
આ દરમિયાન ઓલ ઈન્ડિયા બેન્ક ઓફિસર્સ કન્ફેડરેશન (AIBOC) ના જનરલ સેક્રેટરી રૂપમ રોયે જણાવ્યું હતું કે માર્ચ 2024માં હસ્તાક્ષર કરાયેલા વેતન સુધારણા કરાર દરમિયાન ઇન્ડિયન બેન્ક્સ એસોસિએશન (IBA) અને UFBU વચ્ચે બધા શનિવારોને રજા જાહેર કરવા માટે એક કરાર થયો હતો. તેમણે કહ્યું, “દુર્ભાગ્યપૂર્ણ છે કે સરકાર અમારી કાયદેસર માંગણીનો જવાબ આપી રહી નથી.” આના પરિણામે કામકાજના કલાકોમાં કોઈ નુકસાન થશે નહીં, કારણ કે અમે સોમવારથી શુક્રવાર સુધી દરરોજ 40 મિનિટ વધારાનું કામ કરવા સંમત થયા છીએ.
UFBUના બીજા એકમ, નેશનલ કન્ફેડરેશન ઓફ બેન્ક એમ્પ્લોયીઝ (NCBE) ના જનરલ સેક્રેટરી એલ. ચંદ્રશેખરે જણાવ્યું હતું કે, “આ આંદોલન ગ્રાહકો વિરુદ્ધ નથી, પરંતુ ટકાઉ, માનવીય અને કાર્યક્ષમ બેન્કિંગ સિસ્ટમ માટે છે. અઠવાડિયામાં પાંચ દિવસ કામ કરવું એ કોઈ વૈભવી નથી, પરંતુ આર્થિક અને માનવીય જરૂરિયાત છે.”