ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા

વડોદરા જિલ્લાના ભાજપના પાંચ ધારાસભ્યોએ વહીવટી તંત્રના અધિકારીઓ સામે બાયો ચડાવી છે. અધિકારીઓના મનસ્વી વલણ અને સામાન્ય જનતાની હાલાકી મુદ્દે ધારાસભ્યોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને ગંભીર રજૂઆતો કરી છે. 

આ અંગે વિગતે વાત કરીએ તો, ગુજરાતમાં ફરી એકવાર ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને વહીવટી અધિકારીઓ વચ્ચેનો ગજગ્રાહ સપાટી પર આવ્યો છે. વડોદરા જિલ્લાના ભાજપના પાંચ ધારાસભ્યોએ એકજૂથ થઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી અધિકારીઓના મનસ્વી વહીવટ સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો છે.  શાસક પક્ષના જ ધારાસભ્યોએ અધિકારીઓના કામકાજ અંગે સવાલો ઉઠાવતા રાજકારણ ગરમાયું છે.

કયા ધારાસભ્યોએ કરી ફરિયાદ?
વડોદરાના પાંચ મજબૂત ધારાસભ્યોએ આ પત્ર પર સહી કરીને અધિકારીઓની કાર્યશૈલી પર સવાલો ઉઠાવ્યા છે:

  • કેતન ઈનામદાર (સાવલી)
  • શૈલેષ મહેતા – સોટા (ડભોઈ)
  • ધર્મેન્દ્રસિંહ ઝાલા (વાઘોડિયા)
  • અક્ષય પટેલ (કરજણ)
  • ચૈતન્યસિંહ ઝાલા (પાદરા)

અધિકારીઓ સામે શું શું આક્ષેપો કરવામાં આવ્યા

  • ઉચ્ચ અધિકારીઓની કામગીરી પર સવાલો: ધારાસભ્યોએ પત્રમાં કલેક્ટર, ડીડીઓ (DDO), જિલ્લા પોલીસ અધીક્ષક અને પોલીસ કમિશનર જેવા ઉચ્ચ અધિકારીઓની કામગીરી પર સવાલો ઉઠાવતા જણાવ્યું છે કે:
  • અધિકારીઓનું મનસ્વી વલણ: મોટા અધિકારીઓથી લઈને નાના કર્મચારીઓ પોતાની મનમાની કરી રહ્યા છે અને પોતાને પ્રજા કે જનપ્રતિનિધિઓથી પણ ઉપર માની રહ્યા છે.
  • હકીકતથી દૂર ‘ગુલાબી ચિત્ર’: પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, જિલ્લા સ્તરના અધિકારીઓ વીડિયો કોન્ફરન્સ (VC) દ્વારા સરકારને માત્ર ‘ગુલાબી ચિત્ર’ બતાવે છે, જ્યારે વાસ્તવિકતા અને ભૌગોલિક સ્થિતિ તેનાથી તદ્દન અલગ હોય છે.
  • સમયનો બગાડ: ધારાસભ્ય કેતન ઈનામદારે આક્ષેપ કર્યો છે કે અધિકારીઓ પોતાનો મોટાભાગનો સમય માત્ર વીડિયો કોન્ફરન્સમાં કાઢે છે, જેના કારણે પ્રજાના કામો અટવાયેલા રહે છે.
  • સામાન્ય માણસની હાલાકી: સરકારી કચેરીઓમાં સામાન્ય માણસ માટે કામ કરાવવું જાણે યુદ્ધ લડવા સમાન બની ગયું છે. લોકોને નાના કામ માટે પણ ‘ધરમના ધક્કા’ ખાવા પડે છે.
  • મુખ્યમંત્રી સાથે મુલાકાત ન થઈ શકી
  • આ પાંચેય ધારાસભ્યો પોતાની વ્યથા રજૂ કરવા રૂબરૂ મુખ્યમંત્રીને મળવા પહોંચ્યા હતા, પરંતુ કોઈ કારણોસર તેમની મુલાકાત થઈ શકી ન હતી. ધારાસભ્યોનું કહેવું છે કે સરકારની યોજનાઓ અને નેતૃત્વ સારું છે, પરંતુ અધિકારીઓના નકારાત્મક વલણને કારણે સરકારની છબી ખરડાઈ રહી છે. જો કે, આ પહેલીવાર નથી જ્યારે અધિકારીઓની કામગીરી અંગે ફરિયાદો ઉઠી હોય, આ પહેલા પણ અધિકારીઓની કામગીરી અંગે રાજ્યના અનેક જનપ્રતિનિધિઓએ વ્યથા ઠાલવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *