
એક મિનિટમાં આવેલા બે શક્તિશાળી ભૂકંપથી વેનેઝુએલામાં ભારે નુકસાન થયું છે. સેંકડો ઇમારતો ધરાશાયી થઈ છે, અને એરપોર્ટને પણ નુકસાન થયું છે. રાજધાની, કારાકાસ અને વિવિધ શહેરોના વીડિયોમાં વિનાશનું ભયાનક દ્રશ્ય જોવા મળે છે. યુએસ ભૂસ્તરશાસ્ત્રીય સર્વે (USGS)નો અંદાજ છે કે ભૂકંપમાં મૃત્યુઆંક 10,000 થી વધુ થઈ શકે છે.
USGSએ જણાવ્યું હતું કે, આ દુર્ઘટનામાં જાનમાલનું નોંધપાત્ર નુકસાન થવાની ધારણા છે. શરૂઆતમાં અંદાજ લગાવવામાં આવ્યો છે કે, મૃત્યુઆંક 10,000 થી 100,000 ની વચ્ચે હોઈ શકે છે. અધિકારીઓએ હજુ સુધી મૃતકો અથવા ઘાયલોની સંખ્યા જાહેર કરી નથી, પરંતુ સ્થાનિક અધિકારીઓ અને સાક્ષીઓએ ઇમારતો ધરાશાયી થવા, ચાલુ બચાવ કામગીરી અને ઘાયલોની વધતી જતી સંખ્યાની જાણ કરી છે.
યુએસ ભૂસ્તરશાસ્ત્રીય સર્વે અનુસાર, પહેલા ભૂકંપની તીવ્રતા 7.1 હતી અને તેનું કેન્દ્ર કારાકાસથી લગભગ 168 કિલોમીટર દૂર કેરેબિયન કિનારે મોરોન વસાહતની પશ્ચિમમાં હતું. તેની ઊંડાઈ 13 કિલોમીટર હતી. બીજા ભૂકંપની તીવ્રતા 7.5 હતી, તેનું કેન્દ્ર મોરોનથી 16 કિલોમીટર દક્ષિણપશ્ચિમમાં હતું. બીજા ભૂકંપની ઊંડાઈ 10 કિલોમીટર હતી, અને તેને પાછલી સદીના સૌથી શક્તિશાળી ભૂકંપોમાંનો એક કહેવામાં આવે છે.
ભૂકંપની ઊંડાઈ તેની અસરમાં મુખ્ય પરિબળ છે. બંને ભૂકંપ સપાટીથી માત્ર 10 થી 13 કિલોમીટર નીચે આવ્યા હતા, જેને ભૂકંપશાસ્ત્રમાં ખૂબ જ છીછરા માનવામાં આવે છે. જ્યારે ભૂકંપનું કેન્દ્ર સપાટીની ખૂબ નજીક હોય છે, ત્યારે ભૂકંપના આંચકા જમીનથી ખૂબ જ મજબૂત અનુભવાય છે કારણ કે, તે ઓછું અંતર ધરાવે છે અને રસ્તામાં ઓછી ઊર્જા ગુમાવે છે. આ જ કારણ છે કે કારાકાસ અને આસપાસના વિસ્તારોમાં ઇમારતો ધ્રુજી ઉઠી અને ઘણી જગ્યા તૂટી પડી. ચેતવણી જાહેર કરવામાં આવી છે કે હજુ પણ તીવ્ર આફ્ટરશોક્સ આવી શકે છે.
વેનેઝુએલામાં કટોકટી જાહેર
વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝે આ દુર્ઘટના બાદ દેશમાં કટોકટીની સ્થિતિ જાહેર કરી છે. તેઓ રાષ્ટ્રને સંબોધિત કરશે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં ડેલ્સી રોડ્રિગ્ઝે કહ્યું, “ધ્યાન આપો, હું ટૂંક સમયમાં વેનેઝુએલાના લોકોને સંબોધિત કરીશ અને આપણા દેશને અસર કરનારા શક્તિશાળી ભૂકંપ પછીની પરિસ્થિતિ અંગે રિપોર્ટ આપીશ.”
વેનેઝુએલા એવા પ્રદેશમાં આવેલું છે જ્યાં કેરેબિયન પ્લેટ અને દક્ષિણ અમેરિકન પ્લેટ મળે છે, જેના કારણે તેને ભૂકંપનો સતત ભય રહે છે. USGS અનુસાર, 1812માં કારાકાસ અને મેરિડામાં આવેલા ભૂકંપમાં આશરે 30,000 લોકો માર્યા ગયા હતા.
વેનેઝુએલાના વિપક્ષી નેતા એડમુન્ડો ગોન્ઝાલેઝે કહ્યું કે, સતત બે ભૂકંપથી વેનેઝુએલામાં ભારે વિનાશ થયો છે. તેમણે X પર એક પોસ્ટમાં કહ્યું, “વેનેઝુએલામાં સતત બે ભૂકંપથી ભારે વિનાશ થયો છે. ઇમારતો ધરાશાયી થઈ છે. શેરીઓમાં ગભરાટ છે. બે કલાક પછી પણ, અમને હજુ પણ ખબર નથી કે કોઈ જાનહાનિ કે મૃત્યુ થયા છે કે નહીં.”
