
સુરેન્દ્રનગર જિલ્લાના રતનપર અને જોરાવરનગરના ત્રણ મિત્રો માટે ઉજ્જૈન મહાકાલની યાત્રા અંતિમ યાત્રા બની ગઈ હતી. મધ્ય પ્રદેશના બદનાવર પાસે સર્જાયેલા એક ભયાનક અકસ્માતમાં બે આશાસ્પદ યુવાનોના મોત નિપજ્યા છે, જ્યારે એક મિત્ર ગંભીર હાલતમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે.
મળતી માહિતી અનુસાર, આ ત્રણ મિત્રો ઉજ્જૈન મહાકાલેશ્વર દાદાના દર્શનાર્થે અને પોતાની બાધા પૂરી કરવા માટે કાર લઈને ગયા હતા. પરત ફરતી વખતે બદનાવર પાસે એકાએક એક બાઈક સવાર આડો ઉતરતા કાર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. કાર ધડાકાભેર પલટી મારીને આશરે 20 ફૂટ ઊંડી ખાઈમાં ખાબકી હતી.
બે મિત્રોની અંતિમવિધિ એકસાથે યોજાઈ
આ ગમખ્વાર અકસ્માતમાં જયદીપસિંહ ઝાલા અને કાનભા પરમાર મોત નિપજ્યું હતું. જ્યારે યશ દંગી ગંભીર ઈજાગ્રસ્ત, જે હાલ રતલામની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. યુવાનોના પાર્થિવ દેહ ઘરે પહોંચતા જ પરિવારોમાં ભારે આક્રંદ છવાઈ ગયું હતું. રતનપર ખાતે હજારોની મેદની અને ક્ષત્રિય સમાજના અગ્રણીઓની હાજરીમાં બંને મિત્રોની અંતિમવિધિ એકસાથે યોજવામાં આવી હતી.
ઝાલાવાડ પંથકમાં ગમગીની
ક્ષત્રિય સમાજના બે આશાસ્પદ યુવાનોના નિધનના સમાચાર વાયુવેગે પ્રસરતા સમગ્ર ઝાલાવાડ પંથકમાં ગમગીની છવાઈ ગઈ છે. હસતા-રમતા દર્શન કરવા ગયેલા યુવાનોના અકાળે અવસાનથી સ્થાનિક મિત્ર વર્તુળ અને સમાજમાં ઘેરા શોકની લાગણી છે. હાલમાં સ્થાનિક પોલીસ દ્વારા અકસ્માતના ચોક્કસ કારણો જાણવા માટે કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.
