Site icon Time News

ગુજરાતમાં ક્યારે આવશે વરસાદ? જાણી લો અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

ગુજરાતમાં લોકો ગરમીથી પરેશાન છે. ખેડૂતો પણ કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યાં છે. રાજ્યમાં હજુ સત્તાવાર ચોમાસું શરૂ થયું નથી. પરંતુ હવે રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઈ શકે છે. રાજ્યમાં 27 જૂન સુધી તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાનો નથી. આગામી 27 જૂન સુધી કેટલીક જગ્યાએ વરસાદ પડી શકે છે. જેની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં 22 જૂનની વાત કરવામાં આવે તો અમદાવાદ, ખેડા, આણંદ, મહીસાગર, દાહોદ અને પંચમહાલમાં હળવો વરસાદ પડી શકે છે. આ સિવાય દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદની સંભાવના ઓછી છે. રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, મોરબી જેવા જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે.

ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે તેની માહિતી આપી છે. અંબાલાલ પટેલે આપેલી જાણકારી પ્રમાણે ગુજરાતમાં 23થી 25 જૂન વચ્ચે ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થઈ શકે છે. અંબાલાલે જણાવ્યું કે હાલ રાજ્યમાં ગરમી અને બફારાનો અનુભવ થઈ રહ્યો છે, પરંતુ હવામાનમાં પલટો આવી શકે છે.

હવામાન નિષ્ણાંતે કહ્યુ કે રાજ્યમાં 23 જૂન સુધી ભેજનું પ્રમાણ વધશે. જેથી ગરમી અને ઉકળાટનો અનુભવ થઈ શકે છે. વલસાડ, સુરત, ડાંગ અને તાવી જેવા જિલ્લાઓમાં સારા વરસાદનો સંકેત મળી રહ્યો છે. તો સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ વધવાની સંભાવના છે.

દેશમાં શું છે ચોમાસાની સ્થિતિ?
ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગની માહિતી પ્રમાણે દક્ષિણ-પશ્ચિમ મોન્સૂન મહારાષ્ટ્ર, તેલંગણા, ઓડિશા, ઝારખંડ, બિહાર અને પૂર્વી ઉત્તર પ્રદેશ તરફ આગળ વધી રહ્યું છે. તેના પ્રભાવથી પૂર્વોત્તર ભારત, પૂર્વી ભારતમાં વરસાદની સ્થિતિ રહેશે. ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે.

Exit mobile version