
ખેડા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. જિલ્લાના વસોમાં 24 કલાકમાં 17 ઇંચથી પણ વધુ આફતરૂપી વરસાદ ઝીંકાતા સમગ્ર પંથક જળબંબાકાર થઈ ગયો છે. વસોની ગ્રામ પંચાયત અને મુખ્ય બજાર સહિતના મોટાભાગના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. વહેલી સવારથી ધીમી ધારે વરસી રહેલા વરસાદને કારણે ગામની સેવા સહકારી મંડળીમાં પણ પાણી ફરી વળ્યા હતા, જેના કારણે ત્યાં રાખવામાં આવેલ ખાતર, બિયારણ તેમજ કરિયાણાના સામાનને વ્યાપક નુકસાન પહોંચ્યું છે.
બીજી તરફ, ખેડા જિલ્લામાં ગઈકાલે મધ્યરાત્રિના 12 વાગ્યાથી મેઘરાજાએ ખમૈયા કરતા અને મોડી રાત બાદ વરસાદ સંપૂર્ણ બંધ થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. છેલ્લા 8 કલાકથી વરસાદ અટકેલો હોવા છતાં નીચાણવાળા વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે.
નડિયાદના શ્રેયસ, માઈ મંદિર, વૈશાલી અને ખોડિયાર ગરનાળામાં હજુ પણ ભારે પાણી ભરાયેલા છે. આ ઉપરાંત શહેરના વાણિયાવાડ, કોલેજ રોડ, મિશન રોડ, રબારી વાસ, મિર્ઝા દરવાજા, સંતરામ રોડ અને VKV રોડ પર સવાર સુધી પાણીનો ભરાવ જોવા મળ્યો હતો. વરસાદ બંધ થતાંની સાથે જ સ્થાનિક તંત્ર અને કોર્પોરેશન દ્વારા ભરાયેલા પાણીના ઝડપી નિકાલ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
