
ગાંધીનગરથી તિરંગા યાત્રાની શરૂઆત થઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા તીરંગા યાત્રામાં જોડાયા હતા. ગાંધીનગરના ગ-6 સર્કલ થી ઘ-6 સર્કલ સુધી તીરંગા યાત્રા યોજાઈ હતી.
ગાંધીનગરમાં સ્વતંત્રતા પર્વની ઉજવણીને લઈ સોમવારે ભવ્ય તિરંગા યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. શહેરના મુખ્ય માર્ગો પર યોજાયેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં નાગરિકો, વિદ્યાર્થીઓ, યુવાનો અને વિવિધ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉત્સાહભેર જોડાયા હતા. તિરંગા યાત્રાને પ્રારંભ કરાવતા મહાનુભાવોએ જણાવ્યું હતું કે આવી યાત્રાઓ યુવા પેઢીમાં દેશપ્રેમની ભાવના મજબૂત બનાવે છે અને સ્વતંત્રતા સેનાનીઓના બલિદાનને યાદ કરવાનો અવસર આપે છે.
યાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ નિર્ધારિત સ્થળે પહોંચી હતી, જ્યાં રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન પોલીસ દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ એવું કહ્યું કે તિરંગા 140 કરોડ ભારતીયોનુ સ્વાભિમાન છે. તેમણે કહ્યું કે દરેક શહેરોમાં તિરંગા યાત્રા યોજાશે.
અમદાવાદમાં હવે 11ને બદલે 12 ઓગસ્ટે તિરંગા યાત્રા યોજાશે.
