
રાજ્યભરમાં ઉનાળાની તીવ્ર ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે. ગુજરાતના મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચતાં જનજીવન પર તેની સીધી અસર જોવા મળી રહી છે. હવામાન વિભાગ મુજબ આગામી દિવસોમાં પણ ગરમીમાં ખાસ રાહત મળવાની શક્યતા ઓછી છે.
અમદાવાદ અને ખેડા જિલ્લામાં સૌથી વધુ 44 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. વડોદરા, આણંદ અને મહીસાગર જિલ્લામાં પણ પારો 44 ડિગ્રી સુધી પહોંચતાં લોકો ભારે ગરમીથી ત્રસ્ત બન્યા હતા. બીજી તરફ સુરેન્દ્રનગર, અમરેલી, બોટાદ અને ભરૂચ જિલ્લામાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
ભાવનગર, બનાસકાંઠા અને મહેસાણા જિલ્લામાં 42 ડિગ્રી તાપમાન રહેતાં બપોરના સમયે રસ્તાઓ પર સૂમસામ માહોલ જોવા મળ્યો હતો. રાજકોટ અને કચ્છમાં 41 ડિગ્રી જ્યારે જૂનાગઢ, સુરત અને નવસારીમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
ગરમીથી બચવા લોકો ઠંડા પીણાં અને ફળોના રસનો સહારો લઈ રહ્યા છે. અમદાવાદમાં ખાસ કરીને શેરડીના રસની દુકાનો પર લોકોની ભારે ભીડ જોવા મળી હતી. યુવાનો અને કામકાજ માટે બહાર નીકળતા લોકો શરીરને હાઈડ્રેટ રાખવા શેરડીનો રસ પીતા જોવા મળ્યા હતા.
ડોક્ટરોએ લોકોને બપોરના સમયે અનાવશ્યક બહાર ન નીકળવાની, વધુ પાણી પીવાની અને શરીરને ડિહાઈડ્રેશનથી બચાવવા તકેદારી રાખવાની સલાહ આપી છે.
