Site icon Time News

ભાવનગરના લઠ્ઠાકાંડમાં ‘સત્તાવાર’ મૃત્યુઆંક વધીને 10 થયો, 21 આરોપીઓ સામે ગુના નોંધાયા

ભાવનગરના લઠ્ઠાકાંડમાં ‘સત્તાવાર’ મૃત્યુઆંક વધીને 10 થયો છે. અત્યારસુધી 61 લોકોનું નકલી દારૂ પીવાથી સ્વાસ્થ્ય કથળ્યું છે. આ પૈકી 25 વ્યક્તિ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમાંથી 10ની હાલત અત્યંત ગંભીર છે. ભાવનગરમાં મોકલાયેલી નકલી દારૂની 300માંથી 200થી વધારે બોટલો જપ્ત કરી લીધી હોવાનો દાવો કરાયો છે. લઠ્ઠાના ભોગ બનેલાનો આંક હાલ 70થી વધુ છે. આ આંકમાં હજુ પણ વધારો થાય તેવી ભીતિ છે.

મળતી માહિતી અનુસાર, ભાવનગરમાં દારૂની 300 બોટલો એવી મોકલાઈ હતી, જે નકલી હતી. જેમાં મિથેનોલ અને ઈથેનોલનું પ્રમાણ ખૂબ જ વધારે હતું. કુલ 61 લોકોને આ દારૂની અસર થઈ છે. જેમાંથી 25 હજુ સારવાર હેઠળ છે. 18 વ્યક્તિએ દારૂ પીધો હતો તેમણે હોસ્પિટલમાં સંપર્ક કર્યો હતો અને ડોક્ટરની સલાહ લીધી હતી. હાલ જે સારવાર હેઠળ છે તેમાંથી 15 સ્થિર છે જ્યારે 10 આઈસીયુમાં છે, જે પૈકી એક વેન્ટિલેટરમાં છે.

સરકારના દાવા પ્રમાણે હાલમાં પોલીસ દ્વારા આશરે 29 લોકોને શોધી કાઢી તેમની મેડિકલ તપાસ અને જરૂરી સારવાર કરાવવામાં આવી છે. 21 આરોપીઓ સામે ગુના નોંધાયા છે, જેમાંથી 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસની તપાસના આધારે આરોપીઓના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. મુખ્ય સૂત્રધાર સહિતના આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે અને કેટલાક આરોપીઓ સામે અન્ય ગુનાઓ પણ નોંધાયા છે. આ ઘટનાની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલ ને સોંપી છે. આ ઘટનાના તાર અન્ય રાજ્ય સુધી પહોંચતા હોય ત્યાં પણ જઈને તપાસ અને કાર્યવાહી કરવાની સંપૂર્ણ છૂટ તપાસ એજન્સીઓને છે.

Exit mobile version