Site icon Time News

ભારત-UK વચ્ચે ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ લાગુ થવાની તારીખ જાહેર, જાણો કઈ ચીજવસ્તુઓ થશે સસ્તી

ભારત અને બ્રિટન (UK) વચ્ચે આખરે ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ(FTA) લાગુ થવાની તારીખ જાહેર થઈ ગઈ છે. આગામી મહિનાની 15 જુલાઈ, 2026થી આ કરાર સત્તાવાર રીતે અમલી બનશે. આ સમજૂતી લાગુ થવાની સાથે જ બંને દેશો વચ્ચે આયાત અને નિકાસ થતી અસંખ્ય વસ્તુઓ પરના ટેરિફ (આયાત ડ્યુટી)માં મોટો ઘટાડો જોવા મળશે. આ ઐતિહાસિક વ્યાપાર કરારથી લાંબા ગાળે બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય વ્યાપારમાં દર વર્ષે 25.5 અબજ પાઉન્ડનો જંગી વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. બંને દેશોએ આ જાહેરાતને પોતાના આર્થિક સંબંધો માટે એક ખૂબ જ મહત્ત્વનો માઇલસ્ટોન ગણાવ્યો છે.

આ કરાર અંગેની જાહેરાત બાદ હવે ભારત અને બ્રિટનના ઉદ્યોગો-વ્યવસાયોને નવી શરતો મુજબ વ્યાપારની તૈયારી કરવા માટે 28 દિવસનો સમય આપવામાં આવ્યો છે. બ્રિટિશ સરકારના અંદાજ મુજબ, આ કરારથી બ્રિટનની અર્થવ્યવસ્થામાં 4.8 અબજ પાઉન્ડનો વધારો થશે અને ત્યાંના વાસ્તવિક વેતનમાં 2.2 અબજ પાઉન્ડની વૃદ્ધિ જોવા મળશે. લંડન આ કરારને ભારત દ્વારા અત્યાર સુધીનો સૌથી મોટો અને વ્યાપક વ્યાપાર સમજૂતી ગણાવી રહ્યું છે. બ્રિટનના વ્યાપાર અને વાણિજ્ય બાબતોના રાજ્ય સચિવ પીટર કાઇલે જણાવ્યું કે, તેઓ આ કરારને વહેલી તકે લાગુ કરી રહ્યા છે જેથી પહેલા જ વર્ષમાં અંદાજે 400 મિલિયન પાઉન્ડના ટેરિફ કટનો સીધો લાભ સામાન્ય જનતા અને ઉદ્યોગોને મળી શકે.

ભારત-બ્રિટન વચ્ચેના આ વ્યાપાર કરાર પર ખુશી વ્યક્ત કરતા પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું છે કે, ભારત-બ્રિટનના સંબંધો માટે આ એક ઐતિહાસિક સિદ્ધિ છે. 15 જુલાઈ, 2026થી લાગુ થઈ રહેલો આ વ્યાપાર કરાર બંને દેશો વચ્ચે વ્યાપાર અને રોકાણને અભૂતપૂર્વ વેગ આપશે. આ સમજૂતીથી દેશના ખેડૂતો, શ્રમિકો, MSMEs અને સ્ટાર્ટઅપ્સ માટે પ્રગતિની નવી તકો ખુલશે, જે વર્ષ 2047 સુધીમાં ‘વિકસિત ભારત’ના લક્ષ્યને સાકાર કરવામાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થશે.

આ FTA લાગુ થવાથી ગ્રાહકોને મોટો ફાયદો થવા જઈ રહ્યો છે. આ કરાર હેઠળ ભારતમાં બ્રિટિશ વ્હિસ્કી પર લાગતો 150% જેટલો જંગી ટેરિફ ઘટીને હવે માત્ર 40% થઈ જશે, જેનાથી બ્રિટનના સ્કૉચ વ્હિસ્કી બિઝનેસને મોટો ફાયદો થશે. આ ઉપરાંત, કોટા વ્યવસ્થા હેઠળ બ્રિટિશ ઓટોમોબાઇલ (કાર) પરનો ટેરિફ પણ 100%થી ઘટાડીને માત્ર 10% કરી દેવાશે. બ્યૂટી પ્રોડક્ટ્સ સહિતની અન્ય વસ્તુઓ પર લાગતા 22% સુધીના ટેરિફને પણ તાત્કાલિક અથવા આગામી 10 વર્ષના ગાળામાં તબક્કાવાર નાબૂદ કરવામાં આવશે.

બીજી તરફ, બ્રિટન પણ ભારતથી નિકાસ થતી વસ્તુઓ પર ટેરિફ ઘટાડશે, જેમાં ખાસ કરીને ભારતીય રેડીમેડ કપડાં, ફૂટવેર (જૂતાં) અને કેટલાક ખાદ્ય ઉત્પાદનો (ફૂડ પ્રોડક્ટ્સ) સામેલ છે. બ્રિટનના આ પગલાથી ત્યાંના બજારોમાં ભારતીય સામાન સસ્તો થશે અને ગ્રાહકોને વધુ વિકલ્પોની સાથે ઉત્તમ કિંમતે ભારતીય પ્રોડક્ટ્સ મળી રહેશે.

Exit mobile version