
ઈન્ડિયાની વુમન્સ ટીમની વાઇસ કેપ્ટન સ્મૃતિ મંધાનાએ પલાશ મુછાલ સાથે લગ્ન ટળ્યા બાદ મૌન તોડ્યું છે. મંધાનાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર લાંબું નિવેદન જારી કર્યું અને આ વાતની જાણકારી આપી દીધી છે કે પલાશ મુછાલ સાથેના તેના લગ્ન રદ થઈ ગયા છે. મંધાના અને પલાશ મુછાલના લગ્ન 23 નવેમ્બરના રોજ થવાના હતા, પરંતુ તે જ દિવસે તેને ટાળી દેવામાં આવ્યા હતા. હવે મંધાનાએ નિવેદન જારી કરીને સ્પષ્ટ કરી દીધું છે કે લગ્ન રદ કરી દેવાયા છે.
છેલ્લા કેટલાક સપ્તાહથી મારા જીવનને લઈને ઘણી અટકળો લગાવવામાં આવી રહી છે અને મને લાગે છે કે આ સમયે મારા માટે ખુલ્લીને બોલવું જરૂરી છે. હું ખૂબ જ અંગત વ્યક્તિ છું અને હું તેને આ જ રીતે રાખવા માગુ છું, પરંતુ મારે એ સ્પષ્ટ કરવું પડશે કે લગ્ન રદ કરી દેવાયા છે. હું આ મામલાને અહીં જ સમાપ્ત કરવા માગુ છું અને આપ સૌને પણ આ જ કરવાની વિનંતી કરું છું. હું તમને વિનંતી કરું છું કે આ સમયે બંને પરિવારોની પ્રાઇવસીનો આદર કરો અને અમને અમારી ગતિથી આગળ વધવાનો સમય આપો.
મંધાનાએ લખ્યું, “મારું માનવું છે કે સૌની પાછળ એક મોટો ઉદ્દેશ્ય છે અને મારા માટે તે ઉદ્દેશ્ય હંમેશાં મારા દેશનું સર્વોચ્ચ સ્તર પર પ્રતિનિધિત્વ કરવું રહ્યો છે. હું આશા રાખું છું કે હું ભારત માટે શક્ય તેટલા લાંબા સમય સુધી રમતી રહું અને ટ્રોફી જીતતી રહું અને મારું ધ્યાન હંમેશાં આના પર જ રહેશે. આપ સૌના સમર્થન માટે આભાર. હવે આગળ વધવાનો સમય છે.”
