
વડોદરાનો કાર્યક્રમ પૂર્ણ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવસારી પહોંચ્યા હતા, જ્યાં તેમણે નેશનલ હાઇવે ગ્રીડ નજીક ભાજપના દેશના પ્રથમ AI (કૃત્રિમ બુદ્ધિમત્તા) આધારિત અત્યાધુનિક કાર્યાલય ‘નમો કમલમ’નું ભવ્ય લોકાર્પણ કર્યું હતું. આ ઐતિહાસિક પ્રસંગને લઈને દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર નવસારી જિલ્લામાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. કાર્યક્રમ સ્થળે 5,000થી વધુ આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
વડાપ્રધાનનું હેલિપેડ પર આગમન થતાં જ અનોખી અને પરંપરાગત શૈલીમાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ 1,100 બહેનોએ માથે કળશ મૂકીને તેમના આગમનને વધાવ્યું હતું. આ ઉપરાંત, 500 પુરુષોએ વિશેષ ડમરુ વાદન કરી વાતાવરણને શિવમય બનાવ્યું હતું, જ્યારે 30 બહેનોએ ઢોલ-ત્રાંસાના તાલ સાથે પરંપરાગત વાદ્યો વગાડી સમગ્ર પરિસરને ગજવી નાખ્યું હતું. લોકાર્પણ બાદ વડાપ્રધાનશ્રીએ ‘નમો કમલમ’ પરિસરની મુલાકાત લઈ તેની વિસ્તૃત સમીક્ષા કરી હતી. તેમણે મુખ્ય કાર્યાલય, અદ્યતન મીડિયા સેન્ટર અને ડિજિટલ કોલ સેન્ટરની કાર્યપ્રણાલીનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું હતું. આ સાથે તેમણે આધુનિક લાઈબ્રેરી, સાંસદ અને ધારાસભ્ય માટેની ખાસ કેબિન તેમજ પંડિત દીનદયાળ મીટિંગ હોલ, ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી હોલ અને અટલ સભાખંડની પણ મુલાકાત લીધી હતી.
આ ઐતિહાસિક કાર્યક્રમના સીધા પ્રસારણ માટે જિલ્લાભરમાં વ્યાપક ડિજિટલ આયોજન કરાયું હતું. નવસારીના તમામ 389 ગામોમાં કુલ 4,000 જેટલી સ્ક્રીન ગોઠવવામાં આવી હતી. આ અદ્યતન વ્યવસ્થાના માધ્યમથી જિલ્લાના 1.15 લાખથી વધુ નાગરિકોએ પોતપોતાના ગામમાં બેસીને જ વડાપ્રધાનના સંબોધનને ઘરઆંગણે નિહાળ્યું હતું.
અત્યાધુનિક ‘નમો કમલમ કાર્યાલય’ની વિશેષતાઓ
અંદાજે 40 હજાર ચોરસ ફૂટના વિશાળ વિસ્તારમાં અને રૂ. 6 કરોડથી વધુના જંગી ખર્ચે આ ભવ્ય કાર્યાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ કાર્યાલયની સૌથી મોટી વિશેષતા એ છે કે તે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેક્નોલોજીથી સજ્જ છે. આ ભવનમાં વિશાળ પાર્કિંગ, આધુનિક રિસેપ્શન, કંટ્રોલ રૂમ, કોન્ફરન્સ હોલ અને મિટિંગ હોલની ઉત્તમ સુવિધાઓ ઊભી કરાઈ છે. આ ઉપરાંત, જિલ્લા પ્રમુખ સહિત વિવિધ પદાધિકારીઓ અને મોરચાઓ માટે અલગ કેબિનની વ્યવસ્થા કરવામાં આવી છે. પર્યાવરણની જાળવણીને પ્રાધાન્ય આપતા આ કાર્યાલયમાં વોટર હાર્વેસ્ટિંગ અને સોલાર સિસ્ટમ દ્વારા ગ્રીન એનર્જીનો વ્યાપક ઉપયોગ કરાયો છે.
ભવ્ય સ્વાગત અને સાંસ્કૃતિક ઝાંખી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બપોરે 2:15 કલાકે નવસારી હેલિપેડ પર પહોંચ્યા હતા, જ્યાંથી તેઓ સીધા નમો કમલમ કાર્યાલય ખાતે ગયા હતા. લોકાર્પણ બાદ તેમણે આ સમગ્ર અત્યાધુનિક કાર્યાલયનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું હતું અને મીડિયા વિભાગ, કોલ સેન્ટર, લાઈબ્રેરી તેમજ વિવિધ મીટિંગ હોલની મુલાકાત લીધી હતી. પીએમના સ્વાગત માટે નવસારીમાં અનોખા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. પરંપરાગત વેશભૂષામાં સજ્જ 1100 બહેનો કળશ સાથે ઉપસ્થિત રહી હતી, જ્યારે 500 પુરુષોએ ડમરુ વગાડી અને 30 બહેનોએ ઢોલ-ત્રાંસા સાથે પ્રધાનમંત્રીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
આ ભવ્ય કાર્યક્રમમાં ડૉક્ટરો, વકીલો, શિક્ષકો અને ઉદ્યોગપતિઓ સહિત અંદાજે 5 થી 7 હજાર લોકો ઉપસ્થિત રહ્યા છે. પ્રધાનમંત્રીના આ પ્રવાસને ધ્યાનમાં રાખીને નવસારીમાં સુરક્ષાના અત્યંત કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા છે. સમગ્ર વિસ્તારમાં 2 હજાર જેટલા પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે તથા કાર્યક્રમ સ્થળે સીસીટીવી કેમેરા અને ખાસ કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરાયો છે. આ ઉપરાંત, નવસારીના 389 ગામડાં અને 3 શહેરોમાં 1 લાખથી વધુ લોકો આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બની શકે તે માટે લાઈવ પ્રસારણની વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
