Site icon Time News

અમદાવાદ: વસ્ત્રાલમાં મધરાત્રે અસામાજિક તત્વો બેફામ, રાહદારીઓ પર તલવાર-દંડા અને પાઈપ વડે હુમલો કર્યો

Oplus_131072

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં પણ અસામાજિક તત્વોનો ત્રાસ વધતો જઈ રહ્યો છે. અહીં મોડી રાતે શાશ્વત સોસાયટી નજીકના વિસ્તારમાં લાકડી-દંડા અને તલવાર જેવા તીક્ષ્ણ હથિયારો વડે તોફાની તત્વોએ આતંક મચાવતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો. ઘટનાનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં જોઈ શકાય છે કે તોફાનીઓના ટોળાએ એક કારને ઊભી રાખી તેમાંથી બહાર નીકળેલા રાહદારી પર તલવાર અને અન્ય તીક્ષ્ણ હથિયારો વડે બેફામ હુમલો કરી દીધો હતો.

કેટલાક લોકોનો દાવો છે કે બે જૂથ વચ્ચે કોઈ મામલે અદાવતને કારણે આ ઘટના બની હતી. જેમાં વીડિયોમાં જોઈ શકાય છે કે તોફાની તત્વોએ રાહદારીઓને પણ નિશાન બનાવવાનું શરૂ કર્યું હતું. વિસ્તારમાં ઘર-મકાન-દુકાનોની આજુબાજુ ઊભેલા વાહનોમાં પણ તોડફોડ મચાવી હતી. સ્થાનિકો કહે છે કે લગભગ 15 થી 20 તોફાનીઓના ટોળાએ આતંક મચાવ્યો હતો અને વાહનો અને રાહદારીઓ પર બેફામ હુમલા કર્યા હતા અને અપશબ્દો કહ્યા હતા.

ઘટનાના દૃશ્યો જોતા જ સ્થાનિકોમાં આ લોકોની વચ્ચે પડવાની હિંમત થઇ શકે તેમ નહોતી. પોલીસ માટે હવે આ ઘટના એક પડકારજનક સાબિત થઇ શકે તેમ છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલાક વાહનોમાં જતા લોકો સાથે આ તોફાની તત્વોએ બળજબરીપૂર્વક મારામારી કરી હતી. વીડિયોમાં લોકો એમ પણ કહેતા સંભળાય છે કે આ લોકો નશો કરીને આતંક મચાવી રહ્યા હતા.

Exit mobile version