
ભારતમાં આતંકવાદી તહવ્વુર રાણાને ક્યારેય ટોર્ચર કરવામાં આવશે નહીં, કારણ કે ભારતે યુએન કન્વેન્શન અગેન્સ્ટ ટોર્ચર પર હસ્તાક્ષર કર્યા છે. આ વાતનો ખુલાસો રાણાના વકીલ અને યુએસ સેક્રેટરી માર્કો રુબિયો વચ્ચે થયેલા ઈમેલ સંવાદમાંથી થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ઈમેલ જાન્યુઆરીમાં લખાયા હતા. રાણાના વકીલે તેના પ્રત્યર્પણને રોકવા માટે યુએસ સેક્રેટરીને ચાર દલીલો સાથે ઈમેલ કર્યો હતો, પરંતુ આ દલીલો યુએસ સુપ્રીમ કોર્ટમાં નકામી રહી અને રાણાને ભારત મોકલવામાં આવ્યો.
રાણાના વકીલે આપેલી દલીલોમાં પ્રથમ દલીલ હતી કે રાણાને અમેરિકામાં નિર્દોષ જાહેર કરાયો હતો, તો ભારતમાં તેને ફરીથી એ જ કેસમાં ટ્રાયલ અને મૃત્યુદંડનો ભય શા માટે? બીજી દલીલમાં કહેવાયું કે મુંબઈ હુમલાના ષડયંત્રકર્તા હેડલીને દોષી ઠેરવાયો હતો, જ્યારે રાણાને નિર્દોષ જાહેર કરાયો હતો. ત્રીજી દલીલમાં હ્યુમન રાઈટ્સ રિપોર્ટનો ઉલ્લેખ કરીને દાવો કરાયો કે ભારતમાં મુસ્લિમો, ખાસ કરીને પાકિસ્તાની મૂળના લોકો સામે ટોર્ચર થાય છે. ચોથી દલીલમાં રાણાની બગડતી તબિયતનો હવાલો આપવામાં આવ્યો.
આ તમામ દલીલોને નજરઅંદાજ કરીને, 10 એપ્રિલે તહવ્વુર રાણાને અમેરિકાથી ભારત લાવવામાં આવ્યો. મોડી રાત્રે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો, જ્યાંથી તેને 18 દિવસની NIA કસ્ટડીમાં મોકલવામાં આવ્યો. હાલ રાણા સાથે સતત પૂછપરછ ચાલી રહી છે.
આ પણ વાંચો, Waqf Board: વક્ફ કાયદાનો વિરોધ, મુર્શિદાબાદમાં હિંસા:3નાં મોત, ટોળાએ પિતા-પુત્રની હત્યા કરી

