
ગુજરાતમાં 2025ની મતદાર યાદીની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. ચૂંટણી પંચ પાસેથી મળેલી માહિતી મુજબ, આ સઘન ગણતરી બાદ રાજ્યની મતદાર યાદીમાંથી 53 લાખથી વધુ મતદારોના નામની બાદબાકી થવાની સંભાવના છે, જેનાથી યાદીની ચોકસાઈ વધશે. ગણતરીનો આ તબક્કો 11મી ડિસેમ્બર સુધી ચાલશે.
ચૂંટણી પંચ પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી પ્રમાણે ગણતરી દરમિયાન 17 લાખથી વધુ અવસાન પામેલા મતદારો મતદાર યાદીમાં સામેલ હતા. આ ઉપરાંત 6.14 લાખથી વધુ મતદારો સરનામે ગેરહાજર, જ્યારે 30 લાખથી વધુ કાયમી સ્થળાંતરિત થયાનું, 3.25 લાખ મતદારો રિપીટેડ હોવાનું સામે આવ્યું છે.
2025ની મતદાર યાદીમાં નોંધાયેલા 5 કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ થયા બાદ, પરત મળેલા ફોર્મ્સના ડિજિટાઈઝેશનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. રાજ્યના 12 વિધાનસભા મતવિસ્તારમાં ડિજિટાઈઝેશનની કામગીરી 100 ટકા પૂરી થઈ ચૂકી છે.
આ 12 બેઠકોમાં બનાસકાંઠાની ધાનેરા-થરાદ, દાહોદની લીમખેડા-દાહોદ (એસ.ટી.), અરવલ્લીની બાયડ, રાજકોટની ધોરાજી-જસદણ-ગોંડલ, જૂનાગઢની કેશોદ, ખેડાની મહેમદાવાદ, આણંદની ખંભાત અને નવસારીની જલાલપોર બેઠકનો સમાવેશ થાય છે. ચૂંટણી પંચના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલી આ ઝુંબેશનો ઉદ્દેશ્ય આગામી ચૂંટણીઓ પહેલા રાજ્યની મતદાર યાદીને સંપૂર્ણપણે ભૂલમુક્ત અને ચોક્કસ બનાવવાનો છે.
