
પંજાબ નેશનલ બેન્ક લોન છેતરપિંડી કેસમાં આરોપી ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોકસીની બેલ્જિયમમાં પોલીસે ધરપકડ કરી છે. ઇકોનોમિક ટાઇમ્સના અહેવાલ મુજબ, 65 વર્ષીય ચોક્સીની શનિવારે (12 એપ્રિલ, 2025) સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) ની અપીલ પર ધરપકડ કરવામાં આવી હતી અને તે હજુ પણ જેલમાં છે.
મેહુલ ચોકસીએ પંજાબ નેશનલ બેન્કમાંથી 13,500 કરોડ રૂપિયાની લોન છેતરપિંડી કરી હતી અને ધરપકડથી બચવા માટે તે ભારતથી બેલ્જિયમ ભાગી ગયો હતો. અહીં તે તેની પત્ની પ્રીતિ ચોક્સી સાથે એન્ટવર્પમાં રહેતો હતો.
મેહુલ ચોક્સીની ધરપકડ કરતી વખતે બેલ્જિયમ પોલીસે મુંબઈની એક અદાલત દ્વારા તેની વિરુદ્ધ જાહેર કરાયેલા બે ધરપકડ વોરન્ટનો ઉલ્લેખ કર્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ વોરન્ટ 23 મે, 2018 અને 15 જૂન, 2021 ના રોજ જાહેર કરવામાં આવ્યા હતા. જોકે, એવું કહેવામાં આવી રહ્યું છે કે મેહુલ ચોક્સી ખરાબ સ્વાસ્થ્ય અને અન્ય કારણોને ટાંકીને જામીન અને તાત્કાલિક મુક્તિની માંગ કરી શકે છે.
13,850 કરોડ રૂપિયાના પીએનબી કૌભાંડના આરોપસર મેહુલ ચોક્સી પર સીબીઆઈ અને ઇડી દ્વારા કાર્યવાહી ચાલી રહી છે. ચોક્સીનો ભત્રીજો નીરવ મોદી પણ આ કેસમાં આરોપી છે, જે લંડનમાં છૂપાયેલો છે અને તેના પ્રત્યાર્પણની પણ રાહ જોવાઈ રહી છે.
મેહુલ ચોક્સી જાન્યુઆરી 2018માં તેના ભત્રીજા નીરવ મોદી સાથે ભારતમાંથી ભાગી ગયો હતો. પંજાબ નેશનલ બેન્કમાં લોન છેતરપિંડીનો મામલો પ્રકાશમાં આવે તે પહેલાં જ બંને દેશ છોડીને ભાગી ગયા હતા. આ ભારતનું બીજું સૌથી મોટું બેન્ક કૌભાંડ હતું. આ મામલો પ્રકાશમાં આવે તે પહેલાં જ ચોક્સીએ એન્ટિગુઆની નાગરિકતા લઈ લીધી હતી. વર્ષ 2021માં જ્યારે તે ક્યુબા જઈ રહ્યો હતો ત્યારે તે ડોમિનિકામાં પકડાઈ ગયો હતો. આ પછી મેહુલે કહ્યું હતું કે રાજકીય ષડયંત્રને કારણે આ કેસ તેમની સામે ચાલી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે ED એ ભારતમાં તેમની મિલકતો ગેરકાયદેસર રીતે જપ્ત કરી છે.
આ પણ વાંચો, Drugs seized: ગુજરાત ATSની મોટી સફળતા, દરિયાઈ સીમામાંથી ઝડપાયું 300 કિલો ડ્રગ્સ
