
અમદાવાદના વિશાલા સર્કલથી નારોલ તરફ જવાના મુખ્ય માર્ગ પર આવેલા મેટ્રોની નજીકની ઝૂંપડપટ્ટીમાં આજે (10મી જૂન) બપોરના સમયે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ કે જોતજોતામાં અનેક ઝૂંપડાંઓ તેની ઝપેટમાં આવી ગયા હતા. આ ઘટનાની જાણ સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક ફાયર કંટ્રોલ રૂમને કરવામાં આવી હતી. બનાવની ગંભીરતા અને આગની ભીષણતાને જોતા ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક ધોરણે આઠ જેટલી ફાયર ફાઈટરની ગાડીઓ અને પાણીના ટેન્કરો ઘટનાસ્થળ તરફ રવાના કરી દેવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર, આ વિસ્તારમાં ગરીબ અને શ્રમિક પરિવારોના અંદાજે 200 જેટલા ઝૂંપડાં આવેલા છે. તેમાંથી આશરે 60થી વધુ ઝૂંપડાંઓમાં આગ લાગી ચૂકી છે અને તે ખૂબ જ વિકરાળ પ્રમાણમાં આગળ વધી રહી છે. સુકા વાંસ, પ્લાસ્ટિક અને ઘરવખરીના સામાનના કારણે આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે, જેના લીધે અંદર રાખેલો ગરીબોનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હોવાની આશંકા છે.
