
અમદાવાદના સુખરામનગર સ્થિત સંત વિનોબા ભાવે નગરમાં એક મોટી દુર્ઘટના ટળી છે. બ્લોક નંબર 12ના એક મકાનની ગેલેરી અચાનક ધરાશાયી થતા અફરાતફરી મચી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક પહોંચી ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા, સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.
આ વિસ્તારના 440 ફ્લેટ અને 180 છાપરાના રી-ડેવલપમેન્ટ માટે છ મહિના પહેલા ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ચુકી છે. યોગી કન્સ્ટ્રક્શનને ટેન્ડર લાગ્યું હોવા છતાં, ટેકનિકલ ખામીઓ અને ભાડાના પ્રશ્ને હજુ સુધી વર્ક ઓર્ડર આપવામાં આવ્યો નથી. તંત્રની આ ઢીલી નીતિને કારણે સેંકડો પરિવારો જર્જરિત મકાનોમાં જાનના જોખમે રહેવા મજબૂર બન્યા છે.
