
પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાથી શુક્રવારે અગરતલા જતી ઈન્ડિગોની ફ્લાઈટ એરપોર્ટ પર પાર્ક કરવામાં આવી હતી ત્યારે ભારે વાવાઝોડા દરમિયાન વીજળી પડી, જેની ચપેટમાં ફ્લાઈટ આવી ગઇ હતી. સલામતીની સાવચેતી રાખીને મુસાફરોને વિમાનમાંથી ઉતારી દેવામાં આવ્યા અને જરૂરી તપાસ કરવામાં આવી. વૈકલ્પિક ફ્લાઈટની વ્યવસ્થા કરવામાં આવી.
સમાચાર એજન્સી અનુસાર સાવચેતી તરીકે બે ગ્રાઉન્ડ વર્કર્સને તબીબી સુવિધાઓમાં લઈ જવામાં આવ્યા. સૂત્રો કહે છે કે કોઈ ઈજા થઈ નથી.
સમાચાર એજન્સી અનુસાર એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) ના એક અધિકારીએ જણાવ્યું હતું કે શુક્રવારે કોલકાતા એરપોર્ટ પર તોફાન દરમિયાન અગરતલા જતી ઈન્ડિગોની ફ્લાઈટ પર વીજળી પડી.
અહેવાલો અનુસાર આ ઘટના વાવાઝોડા અને વરસાદ વચ્ચે બની હતી, જેના માટે એરપોર્ટ ઓપરેશન્સ કંટ્રોલ સેન્ટર (AOCC) એ હવામાન ચેતવણીઓ જારી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આ ઘટનામાં કોઈ મુસાફરોને ઈજા થઈ નથી. ઇન્ડિગોની ફ્લાઇટ 6E6068 (VT-IPW) એરોબ્રિજ 56L પર પાર્ક કરેલી હતી ત્યારે સવારે લગભગ 9:30 વાગ્યે વીજળી પડી. વીજળી પડવાથી વિમાનની પાવર સિસ્ટમ પર અસર પડી, જેના કારણે અચાનક પાવર ઓફ થઇ ગયો હતો.
અધિકારીએ જણાવ્યું હતું કે વીજળી પડી ત્યારે A320 વિમાનમાં 141 મુસાફરો અને છ ક્રૂ સભ્યો હતા. સાવચેતી રૂપે એરલાઇન્સે મુસાફરોને વિમાનમાંથી ઉતારી દીધા હતા અને બાદમાં તેમને A321 વિમાન (VT-ICD)માં સ્થાનાંતરિત કર્યા હતા. ફ્લાઇટ મૂળ સવારે 9:20 વાગ્યે ઉપડવાની હતી પરંતુ બપોરે 12:50 વાગ્યે મુસાફરો સાથે રવાના થઈ હતી.
ઇન્ડિગોના જણાવ્યા અનુસાર બે ગ્રાઉન્ડ સ્ટાફને થોડી ઇજા થઈ હતી અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અધિકારીએ જણાવ્યું હતું કે તબીબી તપાસ બાદ તેમને તાત્કાલિક રજા આપવામાં આવી હતી.
નોધનીય છે કે, કોલકાતા અને આસપાસના જિલ્લાઓમાં શુક્રવાર સવારથી વાવાઝોડા અને વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને ટ્રાફિક ખોરવાઈ ગયો હોવાના અહેવાલો છે.
