
વાપી G.I.D.C. પોલીસ મથક આજે એક આધ્યાત્મિક પ્રસંગનું સાક્ષી બન્યું, જ્યારે પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજય પ્રબોધચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ, જેઓ ‘ચકાચક દાદાના’ હુલામણા નામ તરીકે જાણીતા છે, તેમણે પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી. ૯૩ વર્ષની પ્રભાવશાળી ઉંમરે પણ યુવાનોને શરમાવે તેવા જુસ્સા અને ઉત્સાહ સાથે તેઓ જીવદયા અને સાધર્મિક ભક્તિ જેવા અનેક કાર્યો દ્વારા શાસન પ્રભાવના કરી રહ્યા છે.
પૂજ્ય આચાર્ય ભગવંતે વાપીના ચણોદ ખાતે શ્રી મહેન્દ્રભાઈ શાહની પેપર મિલમાં પાવન પગલાં કર્યા બાદ ચાર રસ્તા સ્થિત કૉમેટ શોરૂમ પર પણ પધાર્યા હતા. અને છેલ્લે વાપી G.I.D.C. પોલીસ મથક જ્યાં તેમણે મંગલ પ્રવેશ કર્યો.
પોલીસ મથકના પી.આઈ. શ્રી મયુર પટેલ સાહેબ અને અન્ય સ્ટાફ મિત્રોએ ભાવપૂર્વક ગુરુ ભગવંતના દર્શન અને વંદન કરી આશીર્વાદ મેળવ્યા. આ અવસરે પૂજ્યશ્રીએ ત્યાં હાજર પોલીસ સ્ટાફને માંગલિક સંભળાવીને આશીર્વાદ પાઠવ્યા. તેમની સરળ, નિખાલસ અને મિલનસાર વાણીએ સૌના હૃદય સ્પર્શ કર્યા.
આજે પણ પૂજ્યશ્રી પોતાના ‘ચકાચક પ્રવચન’ અને કાર્યક્રમો થકી યુવા વર્ગમાં પણ લોકપ્રિય છે. તેમની આ મુલાકાત પોલીસ સ્ટાફ માટે એક અનમોલ અને યાદગાર ક્ષણ બની રહી. જાણવા મળતી માહિતી મુજબ પી.આઈ શ્રી મયુર પટેલ સાહેબ રોજ નમસ્કાર મહા મંત્રનું સ્મરણ પણ કરે છે,ગુરુદેવની વિદાય સમયે, પણ તેઓ વિદાય આપવા માટે સાથે જોડાયા હતા
અહેવાલ: નવીન દોશી, સુરત
