
ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ આગામી શ્રીલંકા ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. ઈંગ્લેન્ડ સામેની વન-ડે સીરિઝ દરમિયાન ડાબા ઘૂંટણમાં થયેલી ઈજામાંથી તે હજુ સુધી સંપૂર્ણપણે સ્વસ્થ થયો નથી, જેના કારણે તેને પસંદગી માટે યોગ્ય ગણવામાં આવ્યો નથી. પુરુષ પસંદગી સમિતિએ બુમરાહના સ્થાને જમ્મુ અને કાશ્મીરના ફાસ્ટ બોલર આકિબ નબીને ભારતીય ટેસ્ટ ટીમમાં સ્થાન આપ્યું છે. સિનિયર ભારતીય ટીમમાં આ 29 વર્ષીય ફાસ્ટ બોલરની પહેલીવાર પસંદગી છે.
આકિબ નબીએ છેલ્લા બે રણજી ટ્રોફી સીઝનમાં કુલ 104 વિકેટ લીધી છે. 2025-26 સીઝનમાં તેણે 60 વિકેટ લીધી અને જમ્મુ અને કાશ્મીરના પ્રથમ રણજી ટ્રોફી ટાઇટલમાં મુખ્ય ભૂમિકા ભજવી. તે તાજેતરમાં શ્રીલંકાના પ્રવાસે ગયેલી ઈન્ડિયા A ટીમનો પણ ભાગ હતો જ્યાં તેણે બે ફર્સ્ટ-ક્લાસ મેચમાં છ વિકેટ લીધી હતી. BCCI એ સોમવારે એક નિવેદનમાં આ માહિતી જાહેર કરી હતી.
બુમરાહને ઈંગ્લેન્ડમાં ODI શ્રેણી દરમિયાન ઈજા થઈ હતી અને ત્યારબાદ તે બેંગલુરુમાં BCCI સેન્ટર ઓફ એક્સેલન્સ ગયો હતો. તે સંપૂર્ણપણે સ્વસ્થ થયો નથી અને તેને ટેસ્ટ સીરિઝમાંથી બહાર કરવામાં આવ્યો છે.
BCCI એ માહિતી આપી
BCCI એ તેના નિવેદનમાં લખ્યું છે કે, “જસપ્રીત બુમરાહ ઇંગ્લેન્ડ સામેની ODI શ્રેણી દરમિયાન ડાબા ઘૂંટણની ઇજામાંથી સંપૂર્ણપણે સ્વસ્થ થયો નથી અને શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે.” નબીના નામની જાહેરાત કરતા BCCI એ લખ્યું છે કે, “પુરુષ પસંદગી સમિતિએ બુમરાહના સ્થાને આકિબ નબીની પસંદગી કરી છે. જમ્મુ અને કાશ્મીરના બોલરને પહેલી વાર ટીમ ઇન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો છે.”
