
ભારતીય ટીમે WTCની ચોથી સાયકલની આગામી સિરીઝ 2 ઓક્ટોબરથી વેસ્ટ ઈન્ડિઝ સામે ઘરઆંગણે રમશે. આ ટેસ્ટ સિરીઝ માટે વેસ્ટ ઈન્ડિઝની ટીમની જાહેરાત થઈ ચૂકી છે, જ્યારે BCCI એ ભારતની ટીમની પણ જાહેરાત કરી દીધી છે, જેમાં શુભમન ગિલને કેપ્ટન તરીકે અને રવિન્દ્ર જાડેજાને વાઈસ કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યા છે. વધુમાં, રિષભ પંત અને કરુણ નાયરને ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી.
વેસ્ટ ઈન્ડીઝ સામેની બે મેચની ટેસ્ટ સિરીઝ માટે જાહેર કરાયેલી ભારતની ટીમ વિશે વાત કરીએ તો, લેફટી બેટ્સમેન દેવદત્ત પડિકલની વાપસી થઈ છે, જેને ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ માટે ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો હતો. લાંબા સમય પછી ભારતીય ટેસ્ટ ટીમમાં વાપસી કરનાર કરુણ નાયરને ઈંગ્લેન્ડ પ્રવાસ પર ખરાબ પ્રદર્શનને કારણે વેસ્ટ ઈન્ડીઝ સામેની ટેસ્ટ સિરીઝ માટે ટીમમાં સામેલ નથી કરવામાં આવ્યો. ભારતીય ટીમનો મુખ્ય વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંત, જે ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ઘાયલ થયો હતો, તે હજુ સુધી સિરીઝ માટે સંપૂર્ણપણે સ્વસ્થ નથી થયો.
રિષભ પંતની ગેરહાજરીમાં, ઓવલ ટેસ્ટ પહેલા ભારતની ટીમમાં સામેલ કરાયેલા નારાયણ જગદીશનને ધ્રુવ જુરેલ સાથે ટીમમાં બીજા વિકેટકીપર તરીકે સામેલ કરવામાં આવ્યા છે. વધુમાં, આકાશ દીપને આ ટેસ્ટ સિરીઝ માટે ભારતની ટીમમાં સામેલ નથી કરવામાં આવ્યો.
રવિન્દ્ર જાડેજાની વાઈસ કેપ્ટન બન્યો
ભારતીય ટીમના અનુભવી સ્પિન ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને વેસ્ટ ઈન્ડિઝ સામેની બે મેચની ટેસ્ટ સિરીઝ માટે વાઈસ કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. સ્પિન બોલિંગ લાઈનઅપમાં વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ અને કુલદીપ યાદવનો સમાવેશ થાય છે. ફાસ્ટ બોલર્સમાં જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણાનો સમાવેશ થાય છે.
વેસ્ટ ઈન્ડિઝ સામેની સિરીઝ માટે ભારતીય ટીમ
શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, દેવદત્ત પડિક્કલ, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા (વાઈસ કેપ્ટન), વોશિંગ્ટન સુંદર, જસપ્રિત બુમરાહ, અક્ષર પટેલ, નીતિશ કુમાર રેડ્ડી, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, કુલદીપ યાદવ, એન જગદીસન.
આ પણ વાંચો, બનાસકાંઠા અને વાવ-થરાદ બે જિલ્લા આજથી અસ્તિત્ત્વમાં, સરકારે નોટીફિકેશન જાહેર કર્યું
