
યમનમાં મોતની સજા મળેલી કેરળની નર્સ નિમિષા પ્રિયાની મૃત્યુદંડની સજા હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે. તેને 16 જુલાઈએ મૃત્યુદંડની સજા થવાની હતી. સમાચાર એજન્સી ANI એ મંગળવારે સૂત્રોને ટાંકીને આ માહિતી આપી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એક્ટિવિસ્ટ ગ્રુપ અને પ્રભાવશાળી ધાર્મિક નેતાઓએ આ કેસમાં હસ્તક્ષેપ કર્યો હતો, જેના પછી નિમિષા પ્રિયાની મૃત્યુદંડની સજા મુલતવી રાખવામાં આવી છે.
આ પહેલા નિમિષાને મૃત્યુદંડથી બચાવવા માટે રાજદ્વારી સ્તરે અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા. એવું પણ જાણવા મળ્યું છે કે પીડિતાનો પરિવાર હજુ સુધી ક્ષમાદાન કે બ્લડ મની સ્વીકારવા માટે સંમત થયો નથી.
નિમિષા પર યમનના નાગરિકની હત્યા કરવાનો આરોપ
ભારતીય નર્સ નિમિષા 2017થી જેલમાં છે, તેના પર યમનના નાગરિક તલાલ અબ્દો મહદીને ડ્રગ્સનો ઓવરડોઝ આપીને હત્યા કરવાનો આરોપ છે.
નિમિષા અને મહદી યમનના એક ખાનગી ક્લિનિકમાં ભાગીદાર હતા. એવો આરોપ છે કે મહદીએ નિમિષાનો પાસપોર્ટ પોતાના કબજામાં રાખ્યો હતો અને તેના પર ત્રાસ ગુજાર્યો હતો.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતના કંથાપુરમના ગ્રાન્ડ મુફ્તી એપી અબુબકર મુસલિયાર આ કેસમાં પીડિત મહદીના પરિવાર સાથે વાત કરી રહ્યા છે. આ પહેલી વાર છે જ્યારે પીડિતના પરિવારના કોઈ નજીકના સભ્ય વાત કરવા સંમત થયા છે.
આ વાતચીત શરિયા કાયદા હેઠળ થઈ રહી છે, જે પીડિત પરિવારને કોઈપણ શરત વિના અથવા બ્લડ મનીના બદલામાં ગુનેગારને માફ કરવાનો કાનૂની અધિકાર આપે છે.
આ પણ વાંચો, આજથી OTP વિના નહીં થઇ શકે છે તત્કાલ ટિકિટ બુકિંગ, કરવું પડશે આ કામ
