
દેશમાં વધી રહેલી વેપાર ખાધ અને વિદેશી હૂંડિયામણને બચાવવાના હેતુથી કેન્દ્ર સરકારે સોના બાદ હવે ચાંદીની આયાત પર પણ કડક નિયંત્રણો લાદ્યા છે. સરકારે તાત્કાલિક અસરથી ચાંદીના બારની સીધી આયાત પર પ્રતિબંધ મૂકી દીધો છે. આનો સીધો અર્થ એ છે કે હવે કોઈપણ સામાન્ય વેપારી વિદેશથી સીધી ચાંદી મંગાવી શકશે નહીં. માત્ર 4 દિવસ પહેલાં જ સરકારે સોના અને ચાંદી પરની આયાત ડ્યૂટી 6% થી વધારીને 15% કરી હતી. આર્થિક બોજ ઘટાડવા અને રૂપિયાને મજબૂત કરવા માટે લેવાયેલા આ નિર્ણયથી બુલિયન માર્કેટમાં મોટી અસર જોવા મળશે.
ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) એ આજે ચાંદીના બે બાર કોડ, 71069221 અને 71069229 ને ‘ફ્રી’ (મુક્ત) કેટેગરીમાંથી હટાવીને ‘પ્રતિબંધિત’ (restricted) શ્રેણીમાં મૂકી દીધા છે. આ નિર્ણય તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યો છે, જેના કારણે હવે ખાનગી વેપારીઓ માટે વિદેશથી ચાંદીની આયાત કરવાના દરવાજા બંધ થઈ ગયા છે.
આ નવા નિયમ બાદ, હવે દેશમાં ચાંદી માત્ર ત્રણ જ અધિકૃત માધ્યમો દ્વારા આયાત કરી શકાશે:
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા નક્કી કરવામાં આવેલી બેંકો.
DGFT દ્વારા નિયુક્ત કરવામાં આવેલી ખાસ એજન્સીઓ.
સરકારને આ નિર્ણય કેમ લેવો પડ્યો?
છેલ્લા કેટલાક સમયથી દેશની અર્થવ્યવસ્થા પર આયાતનું મોટું દબાણ જોવા મળી રહ્યું છે. આંકડાઓ પર નજર કરીએ તો:
વર્ષ 2025 માં ભારતે $9.2 બિલિયન ની ચાંદીની આયાત કરી હતી, જે વર્ષ 2024 ની સરખામણીમાં 44% વધુ છે.
માત્ર એક જ વર્ષમાં ચાંદીના ભાવ લગભગ ત્રણ ગણા વધીને ₹2.43 લાખ પ્રતિ કિલોગ્રામને પાર કરી ગયા છે.
દેશની વેપાર ખાધ $333 બિલિયન ના રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચી ગઈ છે, જેના કારણે ભારતીય રૂપિયા પર ભારે દબાણ ઊભું થયું છે.
આ જ કારણોસર સરકાર કોઈપણ ભોગે ચાંદીની આયાત ઘટાડવા માંગે છે. વિદેશી હૂંડિયામણનો ખર્ચ બચાવવા માટે જ ગયા અઠવાડિયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને અપીલ કરી હતી કે તેઓ એક વર્ષ સુધી સોનાની ખરીદી કરવાનું ટાળે.
