
આવતા વર્ષે પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. તે પહેલા જ તૃણમૂલ કોંગ્રેસના વડા અને મુખ્યમંત્રી મમતા બેનર્જી સક્રિય થઈ ગયા છે. તેમણે ગુરુવારે (27 ફેબ્રુઆરી) કોલકાતાના નેતાજી સ્ટેડિયમ ખાતે તમામ સાંસદો અને ધારાસભ્યો તેમજ બ્લોક સ્તરના નેતાઓની બેઠક બોલાવી છે. આ બેઠકમાં તેમણે દિલ્હી અને મહારાષ્ટ્રમાં ભાજપની જીત માટે ચૂંટણી પંચની કાર્યશૈલીને જવાબદાર ઠેરવી હતી.
મમતા બેનર્જીએ કહ્યું, ‘દિલ્હી અને મહારાષ્ટ્રમાં ભાજપે હરિયાણા અને ગુજરાતના લોકોના નકલી મત બનાવીને ચૂંટણી જીતી.’ તેમણે કાર્યકરો સમક્ષ જાહેરાત કરી કે જો જરૂર પડશે તો અમે મતદાર યાદીમાંથી નકલી મતદારોના નામ દૂર કરવાની માંગણી માટે ચૂંટણી પંચની કચેરી સામે ધરણા પણ કરીશું.
આ જ બેઠકમાં, મમતા બેનર્જીએ ભાજપ પર જ્ઞાનેશ કુમારને મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરીને ચૂંટણી પંચને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે જ્યાં સુધી ચૂંટણી પંચ નિષ્પક્ષ ન હોય ત્યાં સુધી મુક્ત અને ન્યાયી ચૂંટણીઓ યોજાઈ શકતી નથી.
આ પણ વાંચો, 1 માર્ચથી બદલાઇ જશે આ નિયમો, જેની સીધી તમારા ખિસ્સાં પર થશે અસર
