Site icon Time News

Happy Birthday PM Modi:વડનગરની ચાની કીટલીથી દેશના PM સુધી… કેવી રીતે સંઘર્ષે ઘડ્યું નરેન્દ્ર મોદીનું વ્યક્તિત્વ?

 17 સપ્ટેમ્બર 1950… ઉત્તર ગુજરાતનું પૌરાણિક નગર વડનગર. દામોદરદાસ મોદી અને હીરાબાના ઘરે જન્મ થયો એક બાળકનો.નામ નરેન્દ્ર. 6 ભાઈ-બહેનમાં ત્રીજા નંબરે જન્મેલા બાળ નરેન્દ્રનું બાળપણ સુખ-સાહેબીમાં નહીં, પણ અતિશય આર્થિક સંઘર્ષો વચ્ચે પાંગર્યું.

પરિવારનું પેટ ભરવા માટે માતા હીરાબા બીજાના ઘરે વાસણ ધોતાં, ચરખો કાંતતાં અને કપાસમાંથી રૂ નીકાળતા. માતાનો આ સંઘર્ષ જોઈ બાળ નરેન્દ્ર પણ ક્યારેક ઘરના કપડાં લઈ શર્મિષ્ઠા તળાવે ધોવા પહોંચી જતા. જ્યાં રમતની રમત પણ થઈ જતી અને પરિવારને મદદ પણ. શાળામાં બિનહરીફ મોનિટર બનનાર આ બાળક શિસ્તનો આગ્રહી તો હતો જ, પણ સાથે ટીખળી, પ્રેમાળ અને અદ્ભુત સાહસિક પણ હતો.

બાળપણમાં મિત્રો સાથે શર્મિષ્ઠા તળાવના કિનારે બેસીને બાળ નરેન્દ્ર કહેતા કે, આ પૌરાણિક ધરોહરની જાળવણી આપણે જ કરવી પડશે. અને આજે એ વચન તેમણે પૂરૂં કરી બતાવ્યું છે.

શાળાનો અભ્યાસ પૂર્ણ થયો, પણ મનમાં દેશસેવા અને આધ્યાત્મિકતાનો અગ્નિ પ્રજ્વલિત થઈ ચૂક્યો હતો. સ્વામી વિવેકાનંદના વિચારોથી પ્રભાવિત થઈને, સ્નાતક થયા બાદ તેમણે ઘર-પરિવારનો ત્યાગ કર્યો. બે વર્ષ સુધી સમગ્ર ભારતનો પ્રવાસ કર્યો, હિમાલયની કંદરાઓથી લઈને ધાર્મિક કેન્દ્રો સુધી ફરીને ભારતની માટી અને ગરીબીને ખૂબ નજીકથી અનુભવી.

ચાના સ્ટોલ પરથી શરૂ થયેલી એ સફર આજે વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશના નેતૃત્વ સુધી પહોંચી છે. વડનગરના ઋણથી લઈને રાષ્ટ્રના ઋણ સુધી—જે બાળકે બાળપણમાં અભાવો સામે ઝૂકવાનું ન શીખ્યું, તેણે આજે સમગ્ર વિશ્વમાં ભારતનો ડંકો વગાડ્યો છે.

વડનગરના રેલવે સ્ટેશનની ચાની કીટલીથી શરૂ થયેલી આ કહાની, સંઘર્ષમાંથી સંકલ્પ સુધીની કહાની છે. એક સામાન્ય પરિવારનું બાળપણ. જવાબદારીથી ઘડાયેલું વ્યક્તિત્વ. આ છે નરેન્દ્ર મોદીના શરૂઆતના જીવનની કહાની પણ આજે 140 કરોડ દેશવાસીઓનો આશાનો આધાર છે. સાહસ, અને અથાક પરિશ્રમનું બીજું નામ એટલે…નરેન્દ્ર દામોદરદાસ મોદી….

Exit mobile version