
ગુજરાતના અગ્રણી ઔદ્યોગિક શહેર સુરતમાંથી અવારનવાર શ્રમિકોની સુરક્ષાને લઈને ચિંતાજનક સમાચારો સામે આવતા રહે છે. આવી જ એક અત્યંત કમકમાટીભરી અને મોટી દુર્ઘટના સુરત શહેરના અશ્વિનીકુમાર વિસ્તારમાં ઘટી છે.
અશ્વિનીકુમાર વિસ્તારમાં આવેલા એક ઉદ્યોગના ETP પ્લાન્ટની અંદર સફાઈની કામગીરી ચાલી રહી હતી, તે દરમિયાન ટાંકીમાં ઝેરી ગેસના કારણે ગૂંગળામણ થવાથી ૨ શ્રમિકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર ઔદ્યોગિક વિસ્તાર અને મૃતક શ્રમિકોના પરિવારોમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
મળતી વિગતો અનુસાર, આ ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ કરવા માટે કુલ 4 સફાઈકર્મીઓ અંદર ઉતારવામાં આવ્યા હતા. પરંતુ ટાંકીની અંદર એકત્રિત થયેલા ઝેરી કેમિકલ યુક્ત ગેસના કારણે આ ચારેય સફાઈકર્મીઓ અંદર જ ફસાઈ ગયા હતા અને તીવ્ર ગૂંગળામણ અનુભવવા લાગ્યા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે દોડી આવી હતી.
