Site icon Time News

PM મોદીએ સોમનાથમાં કર્યો ભવ્ય રોડ શો, રાતે 8 વાગ્યે મંદિરમાં ઓમકાર મંત્ર જાપમાં લેશે ભાગ

Oplus_131072

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ ત્રણ દિવસની ગુજરાત મુલાકાતે છે અને આ પ્રવાસના ભાગરૂપે તેઓ આજે હેલીકોપ્ટર મારફતે રાજકોટથી સોમનાથ પહોંચ્યા હતા. સોમનાથ હેલિપેડ પર ભાજપના આગેવાનો અને પદાધિકારીઓ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ તેઓ સોમનાથના VVIP ગેસ્ટ હાઉસમાં પહોંચ્યા, જ્યાં તેઓ રાત્રિ રોકાણ કરશે.

સોમનાથમાં પહોંચ્યા બાદ પ્રધાનમંત્રી ટૂંક સમયમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરશે. આજે સાંજે 8 વાગ્યે તેઓ મંદિર પરિસરમાં આયોજિત ઓમકાર મંત્રજાપમાં સહભાગી બનશે. આ સાથે રાત્રે યોજાનાર ભવ્ય ડ્રોન-શૉ પણ પ્રધાનમંત્રી નિહાળશે, જે શ્રદ્ધા અને આધુનિક ટેકનોલોજીનું અનોખું સંયોજન રજૂ કરશે.

સોમનાથમાં પ્રધાનમંત્રી માટે ભવ્ય રોડ શૉનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જનસમૂહે ઉત્સાહભેર તેમનું સ્વાગત કર્યું. સોમનાથ ટ્રસ્ટની બેઠકની અધ્યક્ષતા પણ પ્રધાનમંત્રી મોદી કરશે, જેમાં મંદિરના વિકાસ અને ભવિષ્યની યોજનાઓ અંગે ચર્ચા થવાની શક્યતા છે. આવતીકાલે વહેલી સવારે પ્રધાનમંત્રી સોમનાથ મહાદેવની પૂજા-અર્ચના કરશે. ત્યારબાદ તેઓ 108 ઘોડેસવાર સાથે આયોજિત ઐતિહાસિક ‘શૌર્યયાત્રા’નું નેતૃત્વ કરશે. ઇતિહાસમાં પ્રથમવાર 108 ઘોડાઓ સાથે નીકળતી આ યાત્રા ‘સ્વાભિમાન પર્વ’ની ઉજવણીનો મહત્વનો ભાગ છે અને તે સોમનાથના વિવિધ વિસ્તારોમાંથી પસાર થશે.

Exit mobile version