
મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણને પદ પરથી રાજીનામું આપ્યા બાદ તેમની જવાબદારી ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના શીરે સોંપી છે. ભારતના આગામી ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા બાદ ગુરુવારે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મહારાષ્ટ્રનો વધારાનો કાર્યભાર સંભાળવા માટે નિયુક્ત કર્યા છે. આચાર્ય દેવવ્રત ગુજરાતના રાજ્યપાલની જવાબદારીઓ સાથે મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકેની ફરજો નિભાવશે. આ નિમણૂક તાત્કાલિક અમલમાં આવશે.
રાષ્ટ્રપતિ કાર્યાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયાને કારણે મહારાષ્ટ્રના રાજ્યપાલ પદ પરથી સી.પી. રાધાકૃષ્ણનના રાજીનામાના પરિણામે ભારતના રાષ્ટ્રપતિએ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકેની ફરજો નિભાવવા માટે નિયુક્ત કર્યા છે, જે તેઓ તેમની હાલની જવાબદારીઓ ઉપરાંત નિભાવશે.
હરિયાણાના પાણીપત જિલ્લાના સમલખા તાલુકામાં જન્મેલા આચાર્ય દેવવ્રત એક અગ્રણી ભારતીય રાજકારણી છે. તેઓ 2019 થી ગુજરાતના 20મા રાજ્યપાલ તરીકે સેવા આપી રહ્યા છે. આ પહેલા તેઓ 2015 થી 2019 સુધી હિમાચલ પ્રદેશના રાજ્યપાલ હતા.
આ પણ વાંચો, રાહુલ ગાંધી આવતીકાલે ગુજરાતની મુલાકાતે, જૂનાગઢથી કોંગ્રેસ 2027ની ચૂંટણીની તૈયારીઓ કરશે
